પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે ગેરકાયદેસર અફઘાન લોકો સામેની કાર્યવાહી તેજ કરી છે. એકલા આ મહિનામાં (નવેમ્બર) 6000 થી વધુ લોકોને અફઘાનિસ્તાન પાછા મોકલવામાં આવ્યા છે. પંજાબના સૂચના મંત્રીએ ગુરુવારે આ માહિતી આપી. 13 કરોડની વસ્તીવાળા પ્રાંતમાં ગેરકાયદેસર રીતે રહેતા અફઘાન વિશે માહિતી આપનારા પાકિસ્તાની નાગરિકોને સરકારે રોકડ પુરસ્કાર પણ આપ્યા છે.
પંજાબના સૂચના મંત્રી આઝમા બુખારીએ નિવેદનમાં કહ્યું કે, પ્રાંતમાં ગેરકાયદે અફઘાન લોકો વિરુદ્ધ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કાર્યવાહી સમગ્ર રાજ્યમાં આયોજનબદ્ધ, કાયદાકીય અને અસરકારક રીતે કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ગેરકાયદેસર અફઘાનની ઓળખ કરનારાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા છે અને માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.
મંત્રીએ કહ્યું કે નવેમ્બર મહિનામાં 6220 ગેરકાયદે અફઘાન નાગરિકોને પંજાબથી અફઘાનિસ્તાન પાછા મોકલવામાં આવ્યા છે અને આ ઓપરેશન ચાલુ રહેશે. સરકાર ઝીરો ટોલરન્સની નીતિનો ચુસ્તપણે અમલ કરી રહી છે. ગયા મહિને પંજાબમાંથી લગભગ 22000 ગેરકાયદે અફઘાન નાગરિકોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સી અનુસાર પાકિસ્તાનમાં 35 લાખથી વધુ અફઘાન વસવાટ કરી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આમાં 2021માં તાલિબાન સત્તામાં આવ્યા પછી આવેલા લગભગ 7 લાખ લોકોનો સમાવેશ થાય છે. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ આમાંથી અડધાથી વધુ લોકો પાસે કોઈ માન્ય દસ્તાવેજો નથી.

