ચાહકોના મનમાં એક જ સવાલ છે કે શું રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027નો વર્લ્ડ કપ રમશે કે નહીં. અગાઉ એવા અહેવાલો હતા કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રમાયેલી વનડે શ્રેણી આ બે દિગ્ગજ ખેલાડીઓ માટે છેલ્લી શ્રેણી બની શકે છે, પરંતુ છેલ્લી મેચમાં રોહિત શર્માએ સદી ફટકારી હતી જ્યારે વિરાટ કોહલીએ પણ 74 રનની અણનમ ઇનિંગ રમી હતી. રોહિત શર્મા છેલ્લી મેચમાં પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ બન્યો હતો. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકા સામે 30મી નવેમ્બરથી શરૂ થનારી 3 મેચની વનડે શ્રેણી માટે પણ રોહિત-વિરાટની પસંદગી કરવામાં આવી છે. હવે એવા અહેવાલો છે કે BCCI દક્ષિણ આફ્રિકાની વનડે શ્રેણી સમાપ્ત થયા પછી રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય પર કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર સાથે બેઠક કરી શકે છે.
TOIના અહેવાલ મુજબ, BCCI દક્ષિણ આફ્રિકા સામેની આગામી ત્રણ મેચની ODI શ્રેણી પછી પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે બેઠક યોજવાનું આયોજન કરી રહ્યું છે, જેથી 2027 ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય પર યોજનાઓને અંતિમ સ્વરૂપ આપી શકાય.
અહેવાલ અનુસાર, આગામી સપ્તાહે ટીમ જ્યારે ત્રીજી વનડે માટે અમદાવાદ પહોંચશે ત્યારે બીસીસીઆઈના ટોચના અધિકારીઓ, કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર સાથે બેસી શકે છે. રોહિત અને કોહલીએ હજુ સુધી આગામી વનડે વર્લ્ડ કપ માટે ટીમની તૈયારી અંગે યોગ્ય રીતે વાત કરી નથી. એવા સૂચનો મળ્યા છે કે ટીમ મેનેજમેન્ટ આ બંને માટે બેકઅપ ખેલાડીઓની ઓળખ પર કામ કરી રહ્યું છે.

