ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ બાંગ્લાદેશના હાઈ કમિશનર એમ રિયાઝ હમીદુલ્લાને બોલાવીને ઢાકામાં ભારતીય હાઈ કમિશનની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ પગલું બાંગ્લાદેશની નેશનલ સિટિઝન પાર્ટી (NCP)ના નેતા હસનત અબ્દુલ્લાના વિવાદાસ્પદ નિવેદન બાદ લેવામાં આવ્યું છે જેમાં તેણે ઉત્તર-પૂર્વ ભારતના સાત રાજ્યો (સેવન સિસ્ટર્સ)ને અલગ કરવાની અને અલગતાવાદી જૂથોને આશ્રય આપવાની ધમકી આપી હતી.
કોણ છે હસનત અબ્દુલ્લા?
27 વર્ષીય હસનત અબ્દુલ્લા 2024 માં બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં ક્વોટા વિરુદ્ધ વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન હેડલાઇન્સમાં હતા. આ ચળવળ પાછળથી તત્કાલીન વડા પ્રધાન શેખ હસીનાની સરકાર વિરુદ્ધ વ્યાપક પ્રદર્શનમાં ફેરવાઈ ગઈ, પરિણામે હસીનાએ સત્તા છોડી દીધી. તે સમયે અબ્દુલ્લા ‘સ્ટુડન્ટ્સ અગેઈન્સ્ટ ડિસ્ક્રિમિનેશન’ પ્લેટફોર્મના મુખ્ય સંયોજકોમાંના એક હતા.
હસીનાના રાજીનામા બાદ, અબ્દુલ્લા ફેબ્રુઆરી 2025માં ઉભરી આવેલી નેશનલ સિટિઝન પાર્ટી (NCP)માં જોડાયા અને તેમને પાર્ટીના દક્ષિણ પ્રદેશના મુખ્ય આયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અબ્દુલ્લા વિવાદોથી દૂર રહ્યા નથી. એપ્રિલ 2025 માં, તેણે બાંગ્લાદેશ આર્મી પર રાજકારણમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ મૂક્યો, જેને સેનાએ તેમના નિવેદનને “હાસ્યાસ્પદ અને અપરિપક્વ” ગણાવ્યું.
શું હતું અબ્દુલ્લાનું લેટેસ્ટ નિવેદન?
15 ડિસેમ્બરે ઢાકામાં સેન્ટ્રલ શહીદ મિનાર ખાતે એક સભાને સંબોધતા હસનત અબ્દુલ્લાએ કહ્યું- જો બાંગ્લાદેશને અસ્થિર કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો પ્રતિકારની આગ સરહદો પર ફેલાઈ જશે. તમે અમને અસ્થિર કરનારી શક્તિઓને આશ્રય આપો છો, તેથી અમે સેવન સિસ્ટર્સના અલગતાવાદીઓને પણ આશ્રય આપીશું. તેમણે આગળ કહ્યું- હું ભારતને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે જો તમે એવા દળોને આશ્રય આપો છો જે બાંગ્લાદેશની સંપ્રભુતા, ક્ષમતા, મતાધિકાર અને માનવાધિકારનું સન્માન નથી કરતા, તો બાંગ્લાદેશ પણ જવાબ આપશે.
‘સેવન સિસ્ટર્સ’ એ ભારતના સાત ઉત્તર-પૂર્વ રાજ્યો – અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરાનો ઉલ્લેખ કરે છે. આ રાજ્યો સિલિગુડી કોરિડોર (ચિકન નેક) દ્વારા ભારતની મુખ્ય ભૂમિ સાથે જોડાયેલા છે, જે તેની સૌથી સાંકડી અને નેપાળ અને બાંગ્લાદેશ વચ્ચે માત્ર 20 કિલોમીટર પહોળી છે. આ કોરિડોર લાંબા સમયથી ભારત માટે આર્થિક અને વ્યૂહાત્મક પડકાર રહ્યો છે.

