બાંગ્લાદેશ તરફથી ભારતને લઈને ઉશ્કેરણીજનક નિવેદનો ચાલુ છે. હવે વચગાળાની સરકારે કહ્યું છે કે બાંગ્લાદેશના સમર્થન વિના ભારત 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને ક્યારેય હરાવી શક્યું ન હોત. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઢાકામાં ભારતીય હાઈ કમિશનની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે બાંગ્લાદેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું હતું.
ઢાકા ટ્રિબ્યુન અનુસાર, વિદેશી બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને આરોપ લગાવ્યો કે ભારતે 1971ના યુદ્ધમાં બાંગ્લાદેશના યોગદાનને ઓછું આંક્યું છે. એમ પણ કહ્યું કે બાંગ્લાદેશી સ્વતંત્રતા સેનાનીઓ વિના વિજય શક્ય ન હોત. તેમણે કહ્યું કે કોલકાતામાં દિવસ અલગ રીતે ઉજવવામાં આવે છે, જે ભારતની માન્યતાને પ્રતિબિંબિત કરે છે કે વિજય તેના સશસ્ત્ર દળો દ્વારા જીતવામાં આવ્યો હતો.
1971ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને આત્મસમર્પણ કરવા દબાણ કર્યું હતું.
તૌહીદ હુસૈને કહ્યું, ‘એ વાત સાચી છે કે ભારતે પાકિસ્તાન પર જીત મેળવી હતી, પરંતુ બાંગ્લાદેશમાં તેમની જીતના સંદર્ભમાં તેમના જ નિષ્ણાતો માને છે કે જો પાકિસ્તાની સેના સ્થાનિક સ્તરે નબળી ન પડી હોત તો ભારતને જીત મેળવવામાં સમય લાગત અને તેનાથી મોટું નુકસાન થયું હોત અને વધુ લોકો માર્યા ગયા હોત.’
રિપોર્ટ અનુસાર, વિદેશી બાબતોના સલાહકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાંગ્લાદેશી લડવૈયાઓ ઓછામાં ઓછા 6 મહિનાથી સક્રિય હતા. “શરૂઆતથી વિરોધ હતો, પરંતુ જૂનની આસપાસ સ્વતંત્રતા સેનાનીઓ સંપૂર્ણપણે જંગામાં જોડાયા,” તેમણે કહ્યું. તેમણે કહ્યું, ‘…આ જીત બાંગ્લાદેશી સ્વતંત્રતા સેનાનીઓના સમર્થન વિના પ્રાપ્ત થઈ શકી ન હતી.’

