બાંગ્લાદેશમાં માર્યા ગયેલા હિન્દુ યુવકના ભાઈનું નિવેદન આવ્યું છે. દીપુ દાસના ભાઈનું નામ અપુ દાસ છે. તેણે કહ્યું છે કે હવે તે ભારત પરત જવા માંગે છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં 25 વર્ષીય દીપુ ચંદ્ર દાસની નિંદાના આરોપમાં હત્યા કરવામાં આવી હતી. દીપુ દાસની હત્યા બાદ બાંગ્લાદેશમાં હિંદુઓની ખરાબ હાલતનું કડવું સત્ય સામે આવ્યું છે. સીએનએન અનુસાર, દીપુ દાસના ભાઈએ કહ્યું કે તેના પરિવારના સભ્યો ડરી ગયા છે. હવે એ લોકો અહીં રહેવા માંગતા નથી. અપુએ કહ્યું કે જો તેને યોગ્ય મદદ આપવામાં આવે તો તે ભારત પરત જવા માંગશે.
અપુએ વધુમાં જણાવ્યું કે દીપુને એક નાનું બાળક છે. જો અમને સુવિધા મળે તો અમે બાંગ્લાદેશ છોડવા માંગીએ છીએ. ન્યૂઝ ચેનલ અનુસાર, અપુએ કહ્યું કે દીપુ કહેતો રહ્યો કે તેણે કોઈનું અપમાન કર્યું નથી. દીપુ મૈમનસિંહ શહેરમાં કારખાનામાં કામ કરતો હતો. નિંદાના આરોપમાં તેને ફેક્ટરીની બહાર ટોળાએ પહેલા માર માર્યો અને પછી ઝાડ પર લટકાવી દીધો. શરિઝ ઉસ્માન હાદીની હત્યા બાદ શરૂ થયેલી હિંસા વચ્ચે ગુરુવારે રાત્રે દાસની હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ટોળાએ હિંદુ યુવકના મૃતદેહને ઢાકા-મૈમનસિંહ હાઈવેની બાજુમાં ફેંકી દીધો હતો અને તેને આગ લગાવી દીધી હતી, જેના કારણે રસ્તાની બંને બાજુએ ટ્રાફિક જામ થઈ ગયો હતો.
બાંગ્લાદેશમાં લઘુમતી જૂથોએ સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુમતીઓ પરના જુલમને રોકવા માટે પગલાં લેવામાં વચગાળાની સરકારની નિષ્ફળતા સામે વિરોધ કર્યો. સત્તાવાળાઓએ એક હિંદુ વ્યક્તિની લિંચિંગ, મીડિયા ઓફિસો પર હુમલા અને ભારતીય રાજદ્વારી મિશન નજીક હિંસક પ્રદર્શનો સાથે જોડાયેલા 21 શકમંદોની ધરપકડ કરવાની જાહેરાત કરી હતી.
હિંદુ અને અન્ય લઘુમતી સંગઠનોના નેતાઓએ સોમવારે ઢાકામાં દીપુ ચંદ્ર દાસની મોબ લિંચિંગના વિરોધમાં માનવ સાંકળ રચીને કહ્યું હતું કે વચગાળાની સરકાર હિંસા, હત્યાઓ અને લઘુમતી સમુદાયોની અત્યાચારને રોકવામાં નિષ્ફળ રહી છે.

