ED investigation in Gujarat: વહીવટ તંત્ર સામે પડતો જિલ્લો કહેવાય તો આજે પણ સુરેન્દ્રનગરનું નામ આગળ આવે છે. આ જિલ્લો એવો છે જ્યાં બે વખત ઇડી દ્વારા કલેક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક ચર્ચાઓ મુજબ, આ અધિકારીઓએ કદાચ પોતાની પ્રામાણિકતાની કિંમત ચૂકવવી પડી છે. તાજેતરમાં સામે આવેલા અંદાજે 1500 કરોડના જમીન કૌભાંડના મુદ્દાએ અનેક સવાલો ઊભા કર્યા છે. જો આટલું મોટું કૌભાંડ વર્ષો સુધી ચાલતું હતું, તો રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગો ક્યાં હતા? દિલ્હીથી ઇડી આવી કાર્યવાહી કરે ત્યાં સુધી રાજ્યનું તંત્ર શું નિષ્ક્રિય હતું—આ સવાલ આજે દરેક સમજદાર નાગરિકના મનમાં છે.
1500 કરોડનું કૌભાંડ અને જવાબદારીનો પ્રશ્ન
ઇડીની રેડ બાદ જે રીતે મોટા આંકડાઓ સામે આવી રહ્યા છે, તે પોતે જ શંકા ઉભી કરે છે. હકીકત એ છે કે કોઈ એક કલેક્ટર કે કલેક્ટર કચેરીનો એકાદ કર્મચારી એકલહાથે એટલા મોટા પાયે કૌભાંડ કરી શકે એટલી શક્તિ ધરાવતો નથી. કલેક્ટર ઉપર રેવન્યુ વિભાગનું નિયંત્રણ રહે છે અને નીતિગત નિર્ણયો રાજકીય સ્તરે લેવાતા હોય છે. તેથી જો ખરેખર ભ્રષ્ટાચાર થયો હોય, તો તેમાં માત્ર અધિકારીઓ નહીં પરંતુ ઉચ્ચ વિભાગીય અધિકારીઓ અને રાજકીય આગેવાનોની ભૂમિકા પણ બહાર આવવી જોઈએ. એકલા ડેપ્યુટી કલેક્ટર કે નાયબ મામલતદારને દોષી ઠેરવી દેવું સરળ છે, પરંતુ આખી સાંકળને જોવી વધુ જરૂરી છે.
રાજકીય દબાણ, ઇડી અને અધિકારીઓની છબી
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા એક ઉદ્યોગપતિના સોલર પ્રોજેક્ટ મામલે કલેક્ટર રાજેન્દ્ર પટેલે કડક વલણ અપનાવ્યું હતું. આ કારણે તેમની સામે દબાણ ઊભું કરવા ઇડીનો ઉપયોગ થયો હોવાની ચર્ચા છે. ડો. રાજેન્દ્ર પટેલ અગાઉ સાબરકાંઠામાં ડીડીઓ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, જ્યાં તેમની ઓળખ એક ઈમાનદાર અને કામપ્રેમી અધિકારી તરીકે હતી. સુરેન્દ્રનગરમાં આવતાની સાથે જ તેમણે ખાણ-ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી. થાનગઢ, મુળી અને ચોટીલા સહિત અનેક વિસ્તારોમાં ગેરકાયદે ખનન કરનારાઓ સામે કાર્યવાહી થઈ, જેના કારણે રાજકીય રીતે સંકળાયેલા ખનીજચોરોમાં અસંતોષ ફેલાયો.
અનુભવ બતાવે છે કે મોટા પાયે ગેરકાયદે પ્રવૃત્તિઓ રાજકીય આશ્રય વિના શક્ય નથી. જ્યારે કોઈ અધિકારી આવા તત્વો સામે કડકાઈ દાખવે છે, ત્યારે તેની બદલી, તપાસ કે ખોટા કેસો દ્વારા તેને હેરાન કરવામાં આવે છે. આ પહેલાં પણ રાજ્ય સરકારે કેટલાક આઈએએસ અધિકારીઓ સામે તપાસ કરાવી હતી, પરંતુ આરોપ સાબિત થયા છતાં કાર્યવાહી આગળ વધી નથી. 2022માં પણ સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર કે. રાજેશ સામે ED અને CBIની કાર્યવાહી થઈ હતી. તેથી સવાલ એ ઊભો થાય છે કે શું ઇડીની નજર માત્ર સુરેન્દ્રનગર અને ગુજરાત કેડરના અધિકારીઓ પર જ કેન્દ્રિત છે?
સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી આજે પણ મોટો પ્રશ્ન છે અને સરકારને કરોડોનું નુકસાન થાય છે. જો કોઈ અધિકારી આ લૂંટ સામે ઊભો રહે, તો તેને સિસ્ટમનો વિરોધ સહન કરવો પડે છે. આ જ હકીકત આજે વહીવટ અને રાજકારણના સંબંધોને નગ્ન રીતે સામે લાવે છે.

