પસંદગીપત્ર માત્ર સરકારી નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર નથી,જવાબદારી, શિસ્ત પાલન અને રાષ્ટ્ર સેવાનો સંકલ્પ લેવાનો અવસર છે- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
જ્યારે કોઈ વ્યક્તિ સંકટમાં હોય ત્યારે મદદ માટે તેને સૌથી પહેલા પોલીસ યાદ આવે છે- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
::મુખ્યમંત્રીશ્રી::
•પોલીસ બેડામાં નવા જોડાઈ રહેલા કર્મીઓ પણ “નાગરિક દેવો ભવ:”ના ધ્યેય સાથે ચરિતાર્થ કરશે
•જ્યારે કોઈ વ્યક્તિ સંકટમાં હોય ત્યારે મદદ માટે તેને સૌથી પહેલા પોલીસ યાદ આવે છે
•રાજ્ય સરકાર પોલીસ મોર્ડનાઈઝેશન તરફ ઝડપભેર આગળ વધી રહી છે.
•રાજ્ય વ્યાપી સી.સી.ટી.વી. નેટવર્ક,કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર,બોડી વોર્ન કેમેરા,સાયબર આશ્વસ્થ – સાયબર સેફ પ્રોજેક્ટ જેવા આયામોથી પોલીસ દળ ટેકનોલોજી સભર થયું છે.
કોઈ નાગરિક પોતાની સમસ્યા સાથે આવે,ત્યારે તેમના દુઃખમાં સહભાગી બની તેમને પૂરા દિલથી મદદરૂપ થજો: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય પોલીસ દળમાં નવા પસંદગી પામેલા યુવા પોલીસ કર્મીઓને પ્રેરણા આપતા કહ્યું કે,પસંદગીપત્ર માત્ર સરકારી નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર નથી પરંતુ જવાબદારી,શિસ્ત પાલન અને રાષ્ટ્ર સેવાનો સંકલ્પ લેવાનો અવસર છે.
પોલીસ દળની ભરતીઓમાં ઉત્તીર્ણ થઈને ૩૧૦૦ જેટલી યુવતીઓ સહિત ૧૧ હજારથી વધુ યુવાઓ ટીમ ગુજરાતમાં જોડાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબહેન પટેલ,ધારાસભ્ય શ્રી રીટાબહેન પટેલ સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે પસંદગી પત્રો એનાયત કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ યુવા અને ઉત્સાહ પ્રેરક નવી પસંદગી પામેલા પોલીસ કર્મીઓને માનવસેવાનો ધર્મ અને રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ હંમેશા હૈયે રાખીને ફરજરત રહેવાની શીખ આપી હતી.

