મુંબઈઃ હૈદરાબાદ પોલીસે હવે ટોલીવુડ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ના સ્ક્રિનિંગ દરમિયાન થયેલી નાસભાગના મામલામાં મોટું પગલું ભર્યું છે. ચિક્કડપલ્લી પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં અલ્લુ અર્જુનને પણ આરોપી બનાવવામાં આવ્યો છે. આ ઘટના 4 ડિસેમ્બર 2024ની છે.
અલ્લુ અર્જુન સહિત 23 લોકો સામે ચાર્જશીટ દાખલ
હૈદરાબાદના આરટીસી ક્રોસ રોડ સ્થિત સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2’નો પ્રીમિયર શો ચાલી રહ્યો હતો. અલ્લુ અર્જુન જ્યારે અચાનક થિયેટરમાં પહોંચ્યો ત્યારે તેના ચાહકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. તેની એક ઝલક મેળવવા ચાહકો કાબૂ બહાર ગયા, જેના કારણે નાસભાગ મચી ગઈ. આ અકસ્માતમાં 35 વર્ષની મહિલા રેવતીનું મોત થયું હતું. તેમનો 9 વર્ષનો પુત્ર શ્રીતેજ ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાળકને લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું હતું અને તે હજી પણ પુનર્વસન પર છે.
‘પુષ્પા 2’ના સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગની ઘટનામાં મુશ્કેલી વધી
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે થિયેટર મેનેજમેન્ટે ભીડ નિયંત્રણ માટે પૂરતી વ્યવસ્થા કરી ન હતી. અલ્લુ અર્જુનના અચાનક આગમનથી પરિસ્થિતિ વણસી ગઈ. પોલીસનું કહેવું છે કે અભિનેતા અને તેની ટીમને અગાઉથી ખબર હતી કે આટલી મોટી ભીડ એકઠી થઈ શકે છે, તેમ છતાં સાવચેતી રાખવામાં આવી ન હતી. ચાર્જશીટમાં કુલ 23 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. અલ્લુ અર્જુનને આરોપી નંબર 11 (A-11) તરીકે વર્ણવવામાં આવ્યો છે. તેની સાથે તેની અંગત સુરક્ષા ટીમ, મેનેજર અને આઠ બાઉન્સર પણ છે. સંધ્યા થિયેટરનું મેનેજમેન્ટ મુખ્ય આરોપી છે.
તમામ પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા
પોલીસે અભિનેતા પર ઉશ્કેરણીનો આરોપ લગાવ્યો છે. તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તમામ પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. હવે આ કેસની સુનાવણી કોર્ટમાં થશે. આ ઘટના બાદ અલ્લુ અર્જુનની ડિસેમ્બર 2024માં થોડા સમય માટે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા. અભિનેતાએ પરિવારને મદદ કરવા માટે આર્થિક મદદ પણ કરી હતી અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. હજુ પણ કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે.
