ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવ છતાં, બાંગ્લાદેશ તેની ઉર્જા જરૂરિયાતો માટે ભારત પર નિર્ભર છે. બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશન (BPC) એ ભારતની સરકારી તેલ કંપની નુમાલીગઢ રિફાઈનરી લિમિટેડ (NRL) પાસેથી 180,000 મેટ્રિક ટન ડીઝલ આયાત કરવાનો નિર્ણય લીધો છે. આ આયાતની કુલ કિંમત 14.62 અબજ રૂપિયાની આસપાસ હશે જે આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં વધઘટ સાથે બદલાઈ શકે છે. આ ડીલ 2026 માટે છે.
ઢાકામાં 6 જાન્યુઆરીએ યોજાયેલી સરકારી પ્રાપ્તિ સલાહકાર સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની અધ્યક્ષતા નાણાં સલાહકાર સાલેહુદ્દીન અહેમદ દ્વારા કરવામાં આવી હતી. સરકાર સંચાલિત બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશન (BPC) આ ડીઝલની આયાત કરશે. BPC તેના બજેટમાંથી ચૂકવણીનો એક ભાગ કરશે, જ્યારે બાકીની રકમ બેંક લોન દ્વારા એકત્ર કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર એનઆરએલ સાથે વાટાઘાટો બાદ આયાત ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. આસામ સ્થિત NRL એ ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (OIL) ની પેટાકંપની છે. સોદાનું કુલ મૂલ્ય $119.13 મિલિયન નક્કી કરવામાં આવ્યું છે, જે બેરલ દીઠ $83.22ની મૂળ કિંમત કરતાં $5.50 પ્રતિ બેરલના પ્રીમિયમ પર આધારિત છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રમાણે અંતિમ કિંમત બદલાશે.
પત્રકારોના પ્રશ્નોના જવાબમાં પાવર, એનર્જી અને મિનરલ રિસોર્સ એડવાઈઝર મુહમ્મદ ફૈજુલ કબીર ખાને કહ્યું કે આ આયાત પાછલી સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા 15 વર્ષના લાંબા ગાળાના કરાર હેઠળ કરવામાં આવી રહી છે.
NRL ની રિફાઇનરી આસામ રાજ્યમાં આવેલી છે. ડીઝલને પહેલા સિલિગુડી અને પછી ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઈપલાઈન દ્વારા બાંગ્લાદેશ લઈ જવામાં આવે છે. આ પાઇપલાઇન 2022-23માં કાર્યરત કરવામાં આવી હતી, જેના કારણે પરિવહન ખર્ચ અને સમયની નોંધપાત્ર બચત થઈ છે. અગાઉ રેલવે વેગનમાંથી ડીઝલની આયાત કરવામાં આવતી હતી. આ આયાત બાંગ્લાદેશની વધતી જતી ઉર્જાની માંગને પહોંચી વળવામાં મદદ કરશે. નિષ્ણાતોનું માનવું છે કે ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઈપલાઈનથી બંને દેશો વચ્ચે ઉર્જા સહયોગ મજબૂત થયો છે.

