Unclaimed Deposits Refund:‘તમારા પૈસા, તમારો અધિકાર’ ટેગલાઈન હેઠળ રાષ્ટ્રવ્યાપી નાણાકીય જાગૃતિ અભિયાનની શરૂઆત કેન્દ્રીય નાણા મંત્રી શ્રી નિર્મલા સિતારમનની ઉપસ્થિતિમાં ઓક્ટોબર-૨૦૨૫માં ગુજરાતની રાજધાની ગાંધીનગરથી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં તા. ૩૧ ડિસેમ્બર-૨૦૨૫ની સ્થિતિએ કુલ રૂ. ૧૦૪.૬૧ કરોડની રકમ એટલે કે, તેમની મહામૂલી મૂડી સ્વમાનભેર પરત કરાવામાં આવી છે.
રાજ્યમાં આ અભિયાનના પ્રારંભથી ડિસેમ્બર-૨૦૨૫ સુધીમાં કુલ ૨૬,૮૭૪ દાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ દાવાઓની નિયમ મુજબની ખરાઈ કરીને સંબંધિત બેંકો દ્વારા ખાતેદારોને તેમની રકમ પરત કરવામાં આવી છે. આ ઝુંબેશ એક સરળ પણ શક્તિશાળી સંદેશ આપે છે કે નાગરિકો દ્વારા બચાવેલો દરેક રૂપિયો તેમને અથવા તેમના પરિવારને પરત કરવો જોઈએ. વધુમાં દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શન ફક્ત કાગળ પરની એન્ટ્રીઓ નથી, તે સામાન્ય પરિવારોની મહેનતથી કમાયેલી માહામૂલી મૂડી-બચત છે. આ બચત શિક્ષણ, આરોગ્ય સંભાળ અને નાણાકીય સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.
ઉલ્લેખનીય છે કે, તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫ સુધીમાં દેશભરની વિવિધ બેંકોએ અંદાજે રૂ. ૭૫ હજાર કરોડથી વધુ બિનદાવાપાત્ર થાપણો RBIને ટ્રાન્સફર કરી છે. આ ઉપરાંત RBI પાસે વીમા ક્ષેત્રમાં લગભગ રૂ. ૧૪ હજાર કરોડ, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં રૂ. ૩ હજાર કરોડ, કંપનીઓમાં રૂ. ૯ હજાર કરોડ અને રૂ. ૧૯ હજાર કરોડના મૂલ્યના શેર બિનઆયોજિત રીતે જમા છે. આમ, દેશમાં અંદાજે કુલ રૂ. ૧.૮૨ લાખ કરોડ રકમ અનક્લેમ્ડ છે. હવે સમયાંતરે આ રકમ પરત કરવાનું શરૂ થવાથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ખૂબ મોટો ફાયદો થઇ રહ્યો છે.
ગુજરાતમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં અંદાજે રૂ. ૨,૮૩૬.૮૦ કરોડ તેમજ વીમા કંપનીઓમાં અંદાજે રૂ. ૨૩૫ કરોડની રકમ અનક્લેમ્ડ પડી છે, જેમાંથી આ અભિયાન થકી ડિસેમ્બર-૨૦૨૫ સુધીમાં રૂ. ૧૦૪.૬૧ કરોડની રકમ તેમને કરેલા દાવાઓ મુજબ પરત કરવામાં આવી છે. ગુજરાત સરકારના તમામ વિભાગોમાં આ પ્રકારની રકમ માટે વિશેષ જાગૃતિ અભિયાન ચલાવીને તેમના ઘર સુધી તેમના હક્કના નાણા પહોંચાડવામાં આવી રહ્યા છે.
આ અભિયાન એ જન ધન યોજના અને UPI થી લઈને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સુધી નાણાકીય સમાવેશમાં ભારતની વ્યાપક સિદ્ધિઓ પર આધારિત છે, જેથી નાગરિકો માત્ર નાણાકીય સેવાઓ સુધી જ નહીં પરંતુ જે હકદાર છે તે પણ પાછું મેળવી શકે. વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે આ ઝુંબેશ ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૫ એમ ત્રણ માસ દરમિયાન ગુજરાત સહિત તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચલાવવામાં આવી છે. ડિજિટલ પ્રદર્શનો અને હેલ્પડેસ્ક નાગરિકોને તેમની દાવો ન કરાયેલી નાણાકીય સંપત્તિઓને સરળતાથી શોધી કાઢવા અને તેનો દાવો કરવામાં મદદ કરી રહી છે.
નોંધનીય છે કે, નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ (DFS) દ્વારા સંકલિત આ ઝુંબેશ, ભારતીય રિઝર્વ બેંક (RBI), સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI), વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI), પેન્શન ફંડ નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (PFRDA), અને રોકાણકાર શિક્ષણ અને સુરક્ષા ભંડોળ સત્તામંડળ (IEPFA), બેંકો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ અને પેન્શન સંસ્થાઓ સાથે એક સામાન્ય પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવે છે.

