નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી
મકરબા પોલીસ ગ્રાઉન્ડ ખાતે દેશભક્તિના માહોલમાં આન-બાન-શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો
પોલીસ જવાનોના શૌર્યપૂર્ણ કરતબો અને વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક કૃતિઓએ જમાવ્યું આકર્ષણ; વિવિધ વિભાગોના ટેબ્લો દ્વારા સરકારી યોજનાઓની ઝાંખી રજૂ કરાઈ
અમદાવાદ, રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર, મકરબા ખાતે દેશભક્તિના જોમ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ ગરિમાપૂર્ણ સમારોહમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને સલામી આપી હતી તથા શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ પોલીસ દળો દ્વારા રાષ્ટ્રીય સલામી સાથે પ્રભાવશાળી માર્ચ પાસ્ટ રજૂ કરવામાં આવી હતી. આ અવસરે સમગ્ર મકરબા પોલીસ ગ્રાઉન્ડ‘ભારત માતા કી જય’અને‘વંદે માતરમ’ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ પ્રજાસત્તાક પર્વના ઐતિહાસિક મહત્ત્વ વિશે વાત કરતાં જણાવ્યું કે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતમાં બંધારણ આધારિત વિશ્વના સૌથી મોટા લોકતંત્રના આત્મસન્માનનો સૂર્યોદય થયો હતો. તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં ઘડાયેલા સંવિધાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આ પવિત્ર ગ્રંથે આપણને સમાનતા અને ન્યાયના માર્ગે ચાલવાની શક્તિ આપી છે.
તેમણે જણાવ્યું કે કનૈયાલાલ મુનશી,સરદાર પટેલ અને મોરારજી દેસાઈ જેવા અનેક બંધારણ ઘડવૈયાઓ ગુજરાતની ધરતીએ આપ્યા છે અને આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ બંધારણીય મૂલ્યોને દેશના વિકાસમાં ચરિતાર્થ કરી રહ્યા છે.
અમદાવાદના ઐતિહાસિક વારસા વિશે વાત કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સાબરમતીના સંત મહાત્મા ગાંધી અને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની આ કર્મભૂમિ સત્ય,અહિંસા અને લોખંડી મનોબળનો સંગમ છે.
તેમણે ૧૯૩૦ની ઐતિહાસિક દાંડીકૂચનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આ ભૂમિએ હંમેશાં દેશને આઝાદી અને વિકાસની દિશા ચીંધી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સર્વસમાવેશક અને ટકાઉ વિકાસના નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે. અમદાવાદ આજે ભારતનું પ્રથમ‘વર્લ્ડ હેરિટેજ સિટી’બનીને વિશ્વમાં ગુજરાતનું ગૌરવ વધારી રહ્યું છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
શહેરના આધુનિક માળખાકીય પરિવર્તન વિશે શ્રી સંઘવીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીના વિઝનથી સૂકોભઠ્ઠ રહેતો સાબરમતીનો પટ આજે રિવરફ્રન્ટ,અટલ બ્રિજ અને ક્રૂઝ જેવી સુવિધાઓથી વિશ્વના પ્રવાસન નકશા પર ચમકી રહ્યો છે.

