પાકિસ્તાને થોડા દિવસ પહેલા જ આગામી T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી છે. પાકિસ્તાનની ટીમ પણ સલમાન આગા અલીના નેતૃત્વમાં આગામી ટુર્નામેન્ટની તૈયારી કરી રહી છે. દરમિયાન, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કોલંબો માટે ફ્લાઇટ ટિકિટ પણ બુક કરાવી છે પરંતુ ટુર્નામેન્ટમાં તેમની ભાગીદારી અંગેનો અંતિમ નિર્ણય હજુ બાકી છે કારણ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવી સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. મોહસીન નકવીએ વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથેની બેઠક બાદ કહ્યું હતું કે તમામ વિકલ્પો ખુલ્લા છે અને શુક્રવાર અથવા આવતા સોમવાર સુધીમાં નિર્ણય લેવામાં આવશે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાની ચિંતાઓને કારણે ભારતમાં T20 વર્લ્ડ કપ મેચ રમવાનો ઇનકાર કરી દીધો હતો. આ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડનો સમાવેશ કર્યો, જેનો પાકિસ્તાન વિરોધ કરી રહ્યું છે. સતત વિરોધ છતાં T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કર્યા બાદ પાકિસ્તાનની ટીમે હવે શ્રીલંકા જવા માટે ટિકિટ બુક કરાવી છે.
T20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા દ્વારા 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનની તમામ મેચો શ્રીલંકાના મેદાન પર સુનિશ્ચિત કરવામાં આવી છે, જેમાં કોલંબોમાં 15 ફેબ્રુઆરીએ ભારત સામે હાઈ-વોલ્ટેજ મુકાબલો યોજાશે. પાકિસ્તાનની ટીમ ગુરુવારથી ઓસ્ટ્રેલિયા સામે T20 સિરીઝ રમી રહી છે, ત્યારબાદ જો પરવાનગી મળશે તો પાકિસ્તાન શ્રીલંકા જવા રવાના થશે.
આ શ્રેણીને T20 વર્લ્ડ કપ માટેની પાકિસ્તાનની તૈયારીના અંતિમ તબક્કા તરીકે જોવામાં આવી રહી છે, પરંતુ એ જોવાનું રહે છે કે 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ભારત અને શ્રીલંકા દ્વારા સહ યજમાન બની રહેલી ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે રાષ્ટ્રીય ટીમને સરકારની મંજૂરી મળશે કે કેમ. આવતા મહિને યોજાનાર T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારી અંગે અનિશ્ચિતતા છે.

