ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026 ની તેની એકમાત્ર પ્રેક્ટિસ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે મોટી જીત નોંધાવી હતી. બધું જ ભારતીય ટીમના હિસાબે ચાલ્યું, પરંતુ ભારત માટે ચિંતાનું કારણ પણ બન્યું, કારણ કે ઝડપી બોલર હર્ષિત રાણા ઈજાગ્રસ્ત થયો હતો. નવી મુંબઈમાં રમાયેલી વોર્મ-અપ મેચમાં હર્ષિત રાણા બોલિંગ કરતી વખતે ઈજા સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. આ ઝડપી બોલર અને ટીમ ઈન્ડિયા માટે આ એક મોટો આંચકો છે, કારણ કે તે જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહનો મજબૂત બેકઅપ હતો.
બીસીસીઆઈએ હજુ સુધી ઈજાની ગંભીરતા અંગે કોઈ સત્તાવાર અપડેટ જાહેર કર્યું નથી, પરંતુ ટૂંક સમયમાં સ્કેન થવાની અપેક્ષા છે. જો હર્ષિતની ઈજા ગંભીર છે તો તે સમગ્ર T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે. 24 વર્ષનો આ ઝડપી બોલર બોલિંગ કરતી વખતે મુશ્કેલીમાં જોવા મળ્યો હતો અને મેદાનની બહાર ગયો હતો. તેણે માત્ર એક ઓવર નાંખી જેમાં તેણે 16 રન આપ્યા. તે બીજી ઓવર નાખવા આવ્યો હતો, પરંતુ બે વખત તેને રન-અપમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. થોડા સમય પછી, રાણા અસ્વસ્થતામાં તેના ઘૂંટણને પકડી રાખતો અને પછી મેદાનની બહાર લંગડાતો જોવા મળ્યો.
જોકે હર્ષિત રાણાની ઈજાનું સાચું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ તેના મેદાન છોડવાના દ્રશ્યોએ ચોક્કસપણે સમગ્ર ભારતની ચિંતા વધારી દીધી છે. આ મેચમાં ભારતે 240 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકાની ટીમ પણ 210 રન સુધી પહોંચી ગઈ હતી. ભારતે આ મેચ 30 રને જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા માટે વોશિંગ્ટન સુંદર પહેલેથી જ ઈજાગ્રસ્ત છે, જેની પરત ફરવાની તારીખ હજુ સુધી કન્ફર્મ થઈ નથી. હવે ભારતીય ટીમમાં વધુ એક ઈજા જોવા મળી છે.
હવે સવાલ એ છે કે જો હર્ષિત રાણા ફિટ નથી તો ટી-20 વર્લ્ડ કપ 2026માં તેનું સ્થાન કોણ લઈ શકે છે.હાલમાં ઘણા નામો ચર્ચામાં છે, પરંતુ સૌથી મોટા દાવેદાર મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને ખલીલ અહેમદ દેખાઈ રહ્યા છે, જેઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. શક્ય છે કે ભારતીય પસંદગીકારોની નજર અન્ય કોઈ ફાસ્ટ બોલર પર પણ હોય, પરંતુ હાલ માટે એવી આશા છે કે હર્ષિત રાણાની ઈજા ગંભીર નથી.

