ઈસ્લામાબાદ આત્મઘાતી વિસ્ફોટ: પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં શુક્રવારની નમાજ દરમિયાન શિયા ઈમામબારામાં થયેલા આત્મઘાતી હુમલાએ સમગ્ર પાકિસ્તાનને હચમચાવી દીધું હતું. આ ભયાનક વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 31 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 170થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. આ વિસ્ફોટ એવા સમયે થયો હતો જ્યારે ઇમામબારામાં શુક્રવારની નમાજ શરૂ થઇ હતી અને ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
ગેટ પર રોકાયા, પછી અંધાધૂંધ ફાયરિંગ
પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આત્મઘાતી હુમલાખોરને સુરક્ષા જવાનોએ મુખ્ય દ્વાર પર રોક્યો હતો પરંતુ તે પછી સ્થિતિ નિયંત્રણની બહાર થઈ ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોરે સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર શરૂ કર્યો, જેમાં કેટલાક સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા. આ પછી તે લગભગ 20 મીટર સુધી અંદર દોડ્યો અને નમાઝ દરમિયાન પોતાની જાતને ઉડાવી દીધી. આ હુમલો ઈસ્લામાબાદની બહાર આવેલા ખાદીજા તુલ કુબરા ઈમામબારા ખાતે થયો હતો.
એક પ્રત્યક્ષદર્શીએ જિયો ન્યૂઝને જણાવ્યું, “તેને ગેટ પર રોકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ગોળીબારનો અવાજ આવ્યો, પછી તે અંદર દોડી ગયો અને પ્રાર્થનાની વચ્ચે બોમ્બ વિસ્ફોટ કર્યો.” ધ એસોસિએટેડ પ્રેસ સાથે વાત કરતા, ઇમામબારાના પ્રાંગણમાં નમાઝ અદા કરી રહેલા હુસૈન શાહે કહ્યું, “અચાનક એક જોરદાર વિસ્ફોટ થયો. મને તરત જ લાગ્યું કે મોટો હુમલો થયો છે.” તેણે કહ્યું કે જ્યારે તે અંદર ગયો, ત્યારે સર્વત્ર ચીસો, લોહી અને અરાજકતા હતી. મેં લગભગ 30 મૃતદેહો ગણ્યા. તેનાથી વધુ ઘાયલ થયા હતા.”
બ્લાસ્ટની તીવ્રતાઃ ઈમારતો ધ્રૂજી ઉઠી
વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઈમામબારાની ત્રણ માળની ઈમારતની બારીઓ તૂટી ગઈ હતી. નજીકના રહેણાંક મકાનોને પણ નુકસાન થયું હતું અને મસ્જિદમાં હાજર બાળકો અને વૃદ્ધો સહિત લગભગ 200 લોકો ઘાયલ થયા હતા અને તેમને સ્ટ્રેચર પર, ખાનગી વાહનોમાં અને કારના ટ્રંકમાં પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ત્યાંનું દ્રશ્ય હૃદયદ્રાવક હતું. ઘણા લોકો લોહીથી લથપથ હતા અને તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

