*કલેક્ટરશ્રી આનંદ પટેલના વિઝન હેઠળ કચ્છના ૧૦ તાલુકાઓમાં કુલ ૯૧૦ તળાવની અંદાજે ૫૬૦૦ એકરથી વધુ જમીનને નીમ કરવાની કામગીરી પૂર્ણ કરાઈ*
*વૈજ્ઞાનિક ઢબે જમીન માપણી પ્રક્રિયા બાદ સત્તાવાર દરજ્જાના હુકમથી કચ્છના તળાવોને મહેસૂલી રેકર્ડમાં મળી નવી ઓળખ*
*સત્તાવાર દરજ્જો પ્રાપ્ત થવાથી ૯૦૦થી વધારે તળાવોના બ્યૂટિફિકેશન, સંરક્ષણ અને સંવર્ધનને લગતા યોજનાકીય કામો સુચારુરૂપે થઈ શકશે*
*માત્ર ત્રણ મહિના જેટલા ટૂંકા ગાળામાં વૈજ્ઞાનિક ઢબે માપણી, ફિલ્ડ વિઝિટ સહિતની રેવન્યૂ પ્રક્રિયાઓને પૂર્ણ કરીને તળાવોને અપાયો સત્તાવાર દરજ્જો*
કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે અર્ધશુષ્ક ક્ષેત્રમાં આવતો હોવાથી પાણી એ સૌથી મોટી જરૂરિયાત બની જાય છે. આ પરિસ્થિતિમાં પીવાના પાણી,કૃષિ અને પશુપાલન માટે જળ સંસાધનો,તળાવો અને વોટરબોડીનું સંવર્ધન અને સંરક્ષણ અત્યંત અનિવાર્ય છે. આ વિચારને સાર્થક કરતી ઝુંબેશ કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલની આગેવાનીમાં ત્રણ મહિના પહેલા કચ્છના મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી.
કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શનમાં મહેસૂલી તંત્ર દ્વારા નીમ ન થયેલા તળાવો અને વોટરબોડીની ઓળખ કરીને તેને નીમ કરવાની પ્રક્રિયા ઝુંબેશરૂપે શરૂ કરવામાં આવી. ગુજરાતમાં સૌપ્રથમ વખત કચ્છના ૨૮૧ ગામના કુલ ૯૧૦ તળાવોને રેવન્યૂ રેકર્ડ પર લાવી બ્યુટીફિકેશન,જળસંચય અને સંરક્ષણ માટે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
આ ઝુંબેશમાં તળાવો અને વોટરબોડીને સત્તાવાર દરજ્જો આપતા પહેલા તેના ક્ષેત્રફળની માપણીનો અભિગમ અનુસરવામાં આવ્યો. જેથી ભવિષ્યમાં તળાવોના ક્ષેત્રફળને લઈને કોઈ જ વાદવિવાદ ઉપસ્થિત ન થાય અને સત્તાવાર દરજ્જા બાદ તળાવ સંરક્ષણ અને સંવર્ધનના કામોનું સુચારુંરૂપે અમલીકરણ કરી શકાય.
કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે સંબંધિત પ્રાંત અધિકારીશ્રીઓ,મામલતદારશ્રીઓ,લેન્ડ રેકર્ડ ઓફિસર્સ સાથે બેઠક યોજીને તળાવની જમીનોના સંરક્ષણ,સંવર્ધન અને બ્યૂટીફિકેશન માટે‘તળાવ નીમ‘કરવાનું અભિયાન ઝુંબેશરૂપે શરૂ કર્યું. મજબૂત રેકર્ડ નિભાવણી થઈ શકે અને ભવિષ્યમાં તળાવોના ક્ષેત્રફળને લઈને કોઈ જ વાદવિવાદ ન થાય તે માટે કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલની સૂચનાનુસાર વૈજ્ઞાનિક માપણીમાં ડીઆઈએલઆરને સાથે રાખીને પ્રાથમિકતા
આપવામાં આવી. જમીનની માપણી બાદ તળાવ નીમના આખરી હુકમો કરવામાં આવ્યા,જેથી ભવિષ્યમાં માપણી અંગે કોઈ વિવાદ ન રહે. ડીઆઈએલઆર કચેરી દ્વારા આધુનિક માપણી પ્રક્રિયા કરવામાં આવી હોય આગામી વર્ષોમાં તળાવોના નિયત ક્ષેત્રફળમાં દબાણો,ગેરકાયદેસર કબજો વગેરે પ્રવૃત્તિઓ અટકશે. ઉલ્લેખનીય છે કે,ભુજ શહેરમાં ૨૧ જેટલા તળાવોને નીમ કરવાના હુકમ કચ્છ કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવ્યા છે અને આ તળાવોને સંબંધિત ઓથોરિટી સોંપવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે.
કચ્છના તમામ ૧૦ તાલુકામાં અંદાજિત ૫૬૯૧ એકર જમીન તળાવ માટે નીમ કરાઈ
કચ્છ કલેક્ટરશ્રીના દિશાદર્શનમાં કચ્છ જિલ્લાના તમામ ૧૦ તાલુકામાં તળાવ નીમ કરવાનું અભિયાન શરૂ કરાયું હતું. જેમાં ભુજમાં ૩૧૩,મુન્દ્રામાં ૨૫,માંડવીમાં ૩૮,નખત્રાણામાં ૧૬૩,અબડાસામાં ૮૭,અંજારમાં ૧૩૨,ભચાઉમાં ૭૮,રાપરમાં ૧૮,લખપતમાં ૪૫ અને ગાંધીધામમાં ૧૧ એમ કુલ ૯૧૦ તળાવો નીમ કરાયા છે.

