સુરત, બિલ વગર સોના-ચાંદીની લગડી અને દાગીનાનું જ્વેલર્સો દ્વારા બેરોકટોક વેચાણ કરીને સરકારને દર મહિને કરોડો રૂપિયાની જીએસટી ચોરી કરવામાં આવી રહી છે
કારણ કે સુરતના રાજમાર્ગ પર આવેલા ચોકસી બજારમાં આવેલી સુમીત સિલ્વરના માલિકે પ૭પ કરોડના સોના-ચાંદીના દાગીના અને લગડીનું વેચાણ કરીને ૧૭ કરોડ રૂપિયાની જીએસટી ચોરી કરી હોવાનું ડીજીજીઆઈએ પકડી પાડયું છે. આ કેસમાં ડીજીજીઆઈએ સુમીત સિલ્વરના માલિક યતીન સુમિતલાલ શાહની ધરપકડ કરી છે.
ડીજીજીઆઈને ફરિયાદ મળતા નવેમ્બર ર૦રપમાં સુમિત સિલ્વરમાં તપાસ કરી હતી. સુમિત સિલ્વરના માલિક યતીન શાહે છેલ્લા ત્રણેક વર્ષ કરતાં વધુ સમયમાં શહેરમાં આવેલા પારેખ જ્વેલર્સ, વિરતી જ્વેલર્સ અને શુભલક્ષ્મી જ્વેલર્સમાં પ૭પ કરોડની સોના-ચાંદીના લગડી, દાગીના આપ્યા હતા.
જો કે, તેમાં બિલ વિના જ વેપલો કરવામાં આવ્યો હોવાના કારણે સરકારે ૧૭ કરોડની જીએસટીની આવક ગુમાવવી પડી હતી. આ કારણોસર ડીજીજીઆઈએ સોમવારના મોડી સાંજે યતીન શાહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના રિમાન્ડ મંજૂર કર્યા છે. ડીજીજીઆઈ દ્વારા જ્વેલર્સને ત્યાં કરવામાં આવેલી કાર્યવાહીમાં શહેરમાં આવેલા મોટાભાગના જ્વેલર્સો દ્વારા આ જ રીતે જીએસટી ચોરી કરીને સરકારને ચૂનો ચોપડવાનું સુવ્યવસ્થિત નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે કારણ કે સોના-ચાંદીની લગડીની ખરીદી પર ત્રણ ટકા જીએસટી વસૂલ કરવામાં આવતો હોય છે જ્યારે દાગીના પર પાંચ ટકા સુધીનો જીએસટી ભરપાઈ કરવાનો નિયમ છે.
આ કારણોસર મોટાભાગના જ્વેલર્સ દ્વારા બિલ વીના જ દાગીના અને લગડીનું વેચાણ કરવામાં આવતું હોય છે. સાથે સાથે બિલ વિના અને બિલ સાથે દાગીનાના ભાવમાં પણ ખાસ્સો એવો તફાવત જોવા મળતો હોય છે.

