ગામ સુધી એસટી બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે.
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાના શીર, દોલતપુર અને નવાનગર ગામના ૭૦ થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ મહિના ઉપરાંત શાળાએ જવા માટે દરરોજ 5 કિલોમીટર પગપાળા ચાલી રહ્યા છે. ગામ સુધી એસટી બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે.
આ વિદ્યાર્થીઓ ડહેલી અને વાલિયા ગામની શાળાઓમાં અભ્યાસ કરવા જાય છે. એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચાડવા માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ આ બસો ગામમાં પ્રવેશતી નથી.
ખાસ કરીને શનિવારે સવારે બસ માત્ર દોલતપુર ગામના પાટિયા સુધી જ આવે છે, જ્યારે શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને 5 કિલોમીટર સુધી ચાલીને ઘરે આવવું પડે છે.
જ્યારે બસ અંતર યાર ગામમાં કેમ નહીં પહોંચી શકે એ પૂછતા એસ.ટી તંત્ર તરફથી ત્યાંનું ઘરનાડુ ભયજનક હોવાનું કહ્યું હતું પરંતુ ગામવાળા નું કહેવું છે કે ત્યાંથી ૨૫ ટન ભરેલી ટ્રકો પસાર થાય તો એસટી બસ કેમ ન ચાલી શકે તેવા સવાલો વિદ્યાર્થીઓ ચર્ચાઈ રહ્યા છે.
“ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત” જેવા સૂત્રો માત્ર જાહેરાતો પૂરતા સીમિત રહ્યા હોય તેવું આ પરિસ્થિતિ પરથી જણાઈ રહ્યું છે.વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જે ચિંતાજનક બાબત છે.
ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા એસટી વિભાગને આ અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. અગાઉ વાલિયા તાલુકા પંચાયતના માજી પ્રમુખને પણ આ સમસ્યા અંગે જાણ કરવામાં આવી હતી, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.
ગ્રામજનો અને વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે એસટી બસ સેવા શીર, દોલતપુર અને નવાનગર ગામ સુધી નિયમિતપણે પહોંચે જેથી બાળકોને સમયસર ભણતર મળી શકે અને કિલોમીટર સુધી ચાલવાની મજબૂરી દૂર થઈ શકે.

