(પ્રતિનિધિ) હિંમતનગર, હિંમતનગર નગરપાલિકાની હદમાં આવેલ મોતીપુરા,જૂની સિવીલ સહિત અન્ય સ્થળે આવેલા સર્કલ પર મૂકાયેલી પ્રતિમાઓ બાદ આવા સર્કલોમાં સુધારો કરી સુંદર બનાવવા હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલાએ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને સૂચન કર્યું હતું
ત્યારબાદ મોતીપુરા સહિતના સર્કલોને કેવી રીતે સુશોભિત બનાવાય તેમજ શહેરના પ્રવેશ દ્વાર સમા મોતીપુરા સર્કલનુ વિસ્તૃતિકરણ કેવી રીતે કરી શકાય તે માટે ધારાસભ્યએ પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરી સૂચનો કર્યા હતા. જેને લઈ નગરપાલિકાએ તાજેતરમાં કેનાલફ્રન્ટ નજીક આવેલ હાલના એન્જીનીયર સર્કલનું રૂ. ૧૬ લાખના ખર્ચે વિસ્તૃતીકરણ કરવાનું કામ શરૂ કરાયું છે.
જેથી આગામી દિવસોમાં એન્જીનીયર સર્કલ શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરશે.આ અંગે નગરપાલિકા પાસેથી પ્રાપ્ત થયેલ વિગત અનુસાર હિંમતનગરની જૂની સિવીલ સર્કલ પાસે આવેલ આંબેડકરની પ્રતિમાવાળા સર્કલનું સમારકામ શરૂ કરાયું છે. દરમ્યાન આવુ જ એક સર્કલ કે જે કેનાલફ્રન્ટ પાસે આવેલું છે. જ્યાં અત્યારે બે હાથ જોડી સૌને આવકારી નમસ્કાર કરતાં આ સર્કલને વિકસાવવા માટે નગરપાલિકાએ રૂ. ૧૬ લાખનો ખર્ચ કરવાનું નક્કી કર્યું છે.
જેના ભાગરૂપે સર્કલના વિસ્તૃતીકરણ તથા આધુનિકકરણ કરવાનું કામ પુરજોશમાં ચાલુ કરી દેવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે ફાઉન્ટેન એન્જીનીયર સર્કલ તૈયાર થયા બાદ વાહનચાલકો તથા રાહદારીઓને સલામતીનો અહેસાસ થઈ શકશે. થોડાક સમય અગાઉ ટાવરચોક સ્થિત સર્કલમાં સુધારો કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં તૈયાર થનારુ એન્જીનીયર સર્કલ પર લાઈટીંગ કરાશે. જે શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરશે.

