પાકિસ્તાને શનિવારે અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં અનેક સ્થળોએ હવાઈ હુમલા કર્યા હતા અને ત્યારબાદ 70 આતંકવાદીઓને માર્યા હોવાનો દાવો કર્યો હતો. જોકે, અફઘાનિસ્તાનનું કહેવું છે કે પાકિસ્તાને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા છે જેમાં મહિલાઓ અને બાળકો સહિત નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. જિયો ન્યૂઝના એક કાર્યક્રમમાં પાકિસ્તાનના ગૃહ રાજ્ય મંત્રી તલાલ ચૌધરીએ કહ્યું, “અફઘાનિસ્તાન લાંબા સમયથી આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. પાકિસ્તાન પોતાના નાગરિકોના જીવન અને સંપત્તિની સુરક્ષા માટે તમામ શક્ય પગલાં લઈ રહ્યું છે.”
માર્યા ગયેલા આતંકવાદીઓમાં મોટાભાગના પાકિસ્તાની હતા.
ચૌધરીએ કહ્યું કે માર્યા ગયેલા 70 આતંકવાદીઓમાંથી મોટાભાગના પાકિસ્તાની નાગરિકો છે. “એવા પૂરતા પુરાવા છે કે માર્યા ગયેલા મોટાભાગના આતંકવાદીઓ પાકિસ્તાની હતા,” તેમણે કહ્યું. અગાઉ, માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઈસ્લામાબાદ, બાજૌર અને બન્નુમાં તાજેતરના આત્મઘાતી બોમ્બ હુમલાના જવાબમાં હુમલાઓની પુષ્ટિ કરી હતી, જ્યારે કાબુલે હુમલાઓ માટે “જરૂરી અને સંયમિત પ્રતિસાદ” આપવાની ચેતવણી આપી હતી.
તાજેતરની આતંકવાદી ઘટનામાં, શનિવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ વિસ્તારમાં એક આત્મઘાતી હુમલામાં સેનાના લેફ્ટનન્ટ કર્નલ અને એક જવાન શહીદ થયા હતા. મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, પાકિસ્તાન પાસે મજબૂત પુરાવા છે કે ઈસ્લામાબાદમાં શિયા મસ્જિદ પર હુમલો અને શનિવારે બન્નૂમાં બનેલી ઘટના સહિત આતંકવાદની આ ઘટનાઓ કથિત રીતે અફઘાનિસ્તાનમાં સ્થિત તેમના માસ્ટર્સ અને હેન્ડલર્સના ઈશારે ખાવરીઝ દ્વારા કરવામાં આવી હતી.
“આ હુમલાનો દાવો અફઘાનિસ્તાન સ્થિત પાકિસ્તાની તાલિબાન અને તેમના સહયોગીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જે ફિતના-અલ-ખાવરિજ (એફએકે) અને ઈસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસાન પ્રાંત (આઈએસકેપી) સાથે સંકળાયેલા છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે અફઘાન તાલિબાન શાસનને વારંવાર આતંકવાદી જૂથો અને વિદેશી એજન્ટોને પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે અફઘાન વિસ્તારનો ઉપયોગ કરવાથી રોકવા માટે વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તે હજુ પણ તેમની સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં “નિષ્ફળ” રહી હતી. મંત્રાલયે કહ્યું કે, ‘આના જવાબમાં પાકિસ્તાને ગુપ્ત માહિતીના આધારે પાકિસ્તાન-અફઘાન સરહદી વિસ્તારમાં પાકિસ્તાની તાલિબાન, FAK અને તેના સહયોગી સંગઠનો અને ISKP સાથે જોડાયેલા સાત આતંકવાદી કેમ્પ અને ઠેકાણાઓને ચોક્કસ નિશાન બનાવ્યા છે.’

