(એજન્સી)હિંમતનગર, ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં હોળીનો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. જેના કારણે આગામી ફાગણ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે શામળાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
તારીખ ૩ માર્ચ, મંગળવારના રોજ ફાગણી પૂર્ણિમાની સાથે સૂર્ય ગ્રહણ હોવાને કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સામાન્ય દિવસોની સરખામણીએ સૂર્ય ગ્રહણને ધ્યાનમાં રાખીને મંદિર તેના નિયત સમય કરતાં એક કલાક વહેલું એટલે કે સવારે ૫ઃ૦૦ વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવશે. બપોરે ૧ઃ૩૦ વાગ્યા બાદ રાત્રિના ૮ઃ૩૦ વાગ્યા સુધી ઠાકોરજી આગળની ઝાળી બંધ રાખવામાં આવશે.
જોકે, ભક્તો ઝાળીની બહારથી ભગવાનના દર્શનનો લાભ લઈ શકશે. ગ્રહણનો પ્રારંભ બપોરે ૦૩ઃ૨૦ વાગ્યે અને ગ્રહણ મોક્ષ (સમાપ્તિ) સાંજે ૦૬ઃ૪૭ વાગ્યે થાય છે. સાંજે ૬ઃ૪૭ કલાકે ગ્રહણ પૂર્ણ થયા બાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ મંદિરનું પ્રક્ષાલન (શુદ્ધિકરણ) કરવામાં આવશે અને ત્યારબાદ જ અન્ય ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ફાગણી પૂનમે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે, ત્યારે આ સમયમાં થયેલા ફેરફારની નોંધ લેવા મંદિર વહીવટી તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે.

