અમદાવાદ, શહેરમાં વધી રહેલા માનવ તસ્કરીના કિસ્સાઓ વચ્ચે હિંમતનગરથી નવજાત શિશુને ખરીદી હૈદરાબાદ વેચવા જવાના રેકેટમાં પકડાયેલી મહિલા આરોપી વંદના જીગરભાઈ પંચાલની નિયમિત જામીન અરજી અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે ચુકાદામાં જણાવ્યું કે, બાળ તસ્કરી જેવા ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, જે સમાજ માટે અત્યંત ગંભીર બાબત છે.
ગુનાની ગંભીરતા અને સમાજ પર તેની અસરોને ધ્યાને રાખી આરોપીને જામીન આપી શકાય નહીં. નોંધનીય છે કે, વંદના પંચાલ ગુજરાતના આંતરિયાળ ગામોમાંથી બાળ તસ્કરીના રેકેટમાં વચેટિયા તરીકે કામ કરતી હતી.૨૮ જાન્યુઆરીના રોજ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે વંદના પંચાલ અને તેના સાથીદારો હિંમતનગરથી એક નવજાત બાળકને ગેરકાયદે રીતે ખરીદીને સફેદ કલરની અર્ટિગા ગાડીમાં અમદાવાદ થઈ એરપોર્ટ તરફ જઈ રહ્યા છે.
બાતમીના આધારે પોલીસે કોતરપુર પમ્પિંગ સ્ટેશન પાસે વોચ ગોઠવી ગાડીને આંતરી હતી. ત્યારબાદ વંદના સહિતના લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ગાડીની પાછળની સીટ પર બેસેલી વંદનાબેનના ખોળામાં એક નવજાત શિશુ મળી આવ્યું હતું.
પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ બાળક હિંમતનગરના યુનુસ નામના વ્યક્તિ પાસેથી ૩,૬૦,૦૦૦માં ખરીદવામાં આવ્યું હતું અને તેને હૈદરાબાદના નાગરાજ નામના એજન્ટને વેચવા લઈ જવામાં આવતું હતું.આ કેસમાં વંદનાએ રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરી હતી. તેના વકીલે એવી રજૂઆત કરી હતી કે, અરજદાર ૪ ફેબ્›આરીથી જેલમાં છે અને આ ગુનામાં તેમનો કોઈ મુખ્ય રોલ નથી, મુખ્ય આરોપી મૌલિક છે.
તેઓ અમદાવાદના કાયમી રહીશ જેથી ભાગી જાય તેવી શક્યતા નથી, કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર હોવાથી જામીન આપવા વિનંતી કરી હતી. જો કે, મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે સખત વિરોધ કરતા જણાવ્યું કે અરજદાર પોતે બાળક સાથે રંગેહાથ પકડાયા છે.
તેઓ આ નેટવર્કમાં મીડિયેટર તરીકે સક્રિય હતા અને તેમની સામે હૈદરાબાદમાં પણ આવો જ ગુનો નોંધાયેલો છે. આ કેસમાં તપાસ ચાલી રહી છે, ત્યારે આવા કેસમાં આરોપીને જામીન પર મુક્ત ન કરવી જોઇએ.SS1MS

