શિક્ષણ મંત્રીએ બોર્ડની પરીક્ષાઓના વિદ્યાર્થીઓને કારકિર્દીમાં ઉચ્ચ શિખરો સર કરી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી
સમગ્ર રાજ્યમાં ૧૭૦૧ પરીક્ષા કેન્દ્રો પર આજથી અંદાજે ૧૫,૨૭,૭૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષાનો પ્રારંભ
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો આજથી સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર પ્રારંભ થયો છે. ત્યારે શિક્ષણ મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજાએ આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સ્વામિનારાયણ હાઈસ્કૂલ ખાતે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ મોઢું મીઠું કરાવી,ગુલાબનું ફૂલ આપી અને રાઇટીગ પેડ-પેન અર્પણ કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,વિદ્યાર્થીઓ કોઈપણ જાતના ભય વગર મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવું સુંદર આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
સમગ્ર રાજ્યમાં ૧૭૦૧ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જ્યાં આજથી અંદાજે ૧૫,૨૭,૭૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી પોતાના કારકિર્દીના નવા પડાવ તરફ આગળ વધશે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રોCCTVકેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે,જિલ્લા સંકલન સમિતિના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓને નિરીક્ષક (Observer)તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.
મંત્રીશ્રીએ તમામ વિદ્યાર્થીઓને તેમના માતા-પિતાના સપના સાકાર કરવા અને કારકિર્દીમાં ઉચ્ચ શિખરો સર કરવા માટે સમગ્ર ગુજરાતની જનતા વતી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે. પટેલ,શહેર ભાજપ પ્રમુખશ્રી આશિષ દવે,અગ્રણી શ્રી કેતનભાઇ પટેલ,ટ્રસ્ટી શ્રી રામકૃષ્ણ સ્વામીજી શાસ્ત્રી,ટ્રસ્ટી શ્રી મહાપુરુષ સ્વામીજી,કેમ્પસ ડાયરેક્ટર ડો. ઉમંગ વસાણી સહિત શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

