કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને બોટાદમાં દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો
“દિવ્યાંગજનનું જીવન સરળ બને એ દિશામાં સરકાર સતત કામ કરી રહ્યી છે.” નિમુબેન બાંભણીયા
ગ્રાહક બાબતો,ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લાની પી.ટી.સી. કોલેજ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. જિલ્લામાં દિવ્યાંગજનોના સશક્તિકરણ અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પહેલરૂપે જિલ્લા વહીવટી તંત્ર,બોટાદ દ્વારા એલીમેમ્કો તથા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનાCSRફંડથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત રાજ્ય (IOCL GSO)ની સી.એસ.આર. યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક કૃત્રિમ અંગ તથા સહાયક ઉપકરણોના વિતરણ અંગેના આ કાર્યક્રમમાં ૪૧ મોટર ચાલિત ટ્રાઇસાઇકલ,૧૦૭ ટ્રાઇસાઇકલ,૩૯ વ્હીલચેર,૨૧૮ બૈસાખી,૫૮ છડી,૧૭ સુગમ્ય કેન,૧૪ રોલેટર,૫ બ્રેઇલ કીટ,૦૧ ફોલ્ડિંગ બ્રેઇલ કેન,૪૧ ટી.એલ.એમ. કીટ,૪૬ બી.ટી.ઈ. ડિજિટલ પ્રકાર શ્રવણ યંત્ર,૪૨ કૃત્રિમ અંગ સહિતના સાધનોની સહાય કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દિવ્યાંગજનનું જીવન સરળ બને એ દિશામાં સરકાર સતત કામ કરી રહ્યી છે. દેશભરમાં દિવ્યાંગ તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાયો છે. લગભગ એક વર્ષ અગાઉ દિવ્યાંગજનોના સાચા મૂલ્યાંકન અને જરૂરિયાતોને સમજી શકાય તે હેતુથી એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અંદાજે ૨,૭૦૦ જેટલા દિવ્યાંગજનોનું સફળતાપૂર્વક એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. દિવ્યાંગજનોની લાગણીઓ અને જરૂરિયાતોને સમજતા સરકાર દ્વારા સાધન સહાય સતત વધારવામાં આવી રહી છે. દિવ્યાંગ સાધન સહાયમાં અગાઉની તુલનામાં લગભગ ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. વધુમાં,તેમણે જણાવ્યું હતું કે આ સાધન સહાય વિતરણ કેમ્પમાં પણ ૩૧૫ દિવ્યાંગજનોને રૂ.૪૪,૩૮,૭૧૭/- કિંમતના ૬૨૯ સાધન સહાય વિતરિત કરાયા હતા.
ધારાસભ્યશ્રી મહંત શંભુભાઈ ટુંડીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે,બોટાદ જિલ્લાના દિવ્યાંગજનોને જીવન જીવવામાં સરળતા રહે તે માટે દિવ્યાંગ સાધન સહાય ખૂબ જ મદદરૂપ સાબિત થશે.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી કરી હતી. મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનીયાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર,પ્રાંત અધિકારીશ્રી આરતી ગોસ્વામી,આઈ.ઓ.સી.એલ.ના જનરલ મેનેજરશ્રી એસ.જે.જાડેજા, ALIMCOના મેનેજરશ્રી મૃદુલ અવસ્થી,અગ્રણીશ્રી મયુરભાઈ પટેલ,શ્રી પાલજીભાઈ,શ્રી સુખદેવજી ધમાલિયા સહિત મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

