જામનગર, જામનગરમાં ૧૯૮રમાં નગરપાલિકા માંથી મહાનગરપાલિકા બન્યા બાદ પણ શહેરની ટ્રાફિક વ્યવસ્થા અમુક અમુક મહિના પુરતી ઓટોમેટિક સિગ્નલ પર આવ્યા બાદ ફરી જૂની હાથ દેખાડવાની દેશી પદ્ધતિ પર આવી જાય છે.
શહેરમાં ર૦૧૯માં લાખો રૂપિયાના ખર્ચે કોર્પોરેશને ઈલેકટ્રોનિક ટાઈમરવાળા ટ્રાફિક સિગ્નલ ચાલુ કરીને શહેરની ટ્રાફિક પોલીસ શાખાને સોંપ્યા બાદ બંધ થયેલી ઈલેકટ્રોનિક ટ્રાફિક સિસ્ટમ હજુ પણ ચાલુ નથી થઈ. મ્યુ. તંત્ર આજની તારીખે પોલીસ તંત્ર પાસે ટ્રાફિક સિગ્નલ ઈન્સ્ટોલેશન અને રીપેરીંગના રૂ.૭૦ લાખથી વધુ માંગે છે.
જામનગર મહાનગરપાલીકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની જરૂરિયાતને ધ્યાને રાખીને ટ્રાફિક સિગ્નલો કાર્યરત કરવા આવ્યા હતા. ડી.કે.વી. સર્કલ, હનુમાન ગેઈટ પાસે, જનતા ફાટક, સંતોષી માતાજી મંદિર, સહિતના ટ્રાફિક પોઈન્ટ ઉપર કલોક સાથે નવા ટ્રાફિક સિગ્નલો કાર્યરત કરાયા હતા. પરંતુ ટૂંકા સમયમાં ફરી ટ્રાફિક સિગ્નલો બંધ થતા શહેરીજનો પણ અચરજમાં મૂકાયા છે.
ભૂતકાળમાં બંધ થયેલા ટ્રાફિક સિગ્નલો ચાલુ કરવા આંદોલન કરવા પડયા હતા, ત્યારે ફરી પાછા ટ્રાફિક સિગ્નલો ચાલુ કરવા આંદોલન કરવા પડે તેવો ઘાટ સર્જાયો છે. એક તરફ જામનગરની ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકા માટે શિરદર્દ સમાન બનતી જાય છે. તેવા સમયે ટ્રાફિક સિગ્નલો બંધ હોવું તે એક કઠણાઈ ગણાય. ટ્રાફિક સિગ્નલો બંધ હોવાથી ટ્રાફિક પોઈન્ટ ઉપર પોલીસ જવાનોને મેન્યુઅલી કામગીરી કરવી પડે છે. વાહન ચાલકોને સાઈટ આપવી પડે છે. જોકે લાખો રૂપિયા ખર્ચે મુકવામાં આવેલ સિગ્નલો કાર્યરત કરવામાં ાવે તે વાહન ચાલકો માટે ઈચ્છનીય છે.
ટ્રાફિક પોલીસ વિભાગની દરખાસ્ત પરથી વર્ષ ર૦૧૯માં જામનગર મહાનગરપાલીકા દ્વારા રૂ.પ૮ લાખના ખર્ચે જનતા ફાટક ચાર રસ્તા, નાગનાથ ગેઈટ ચાર રસ્તા, લાલવાડી (અન્નપૂર્ણા ચોકડી) તેમજ સત્યમ કોલોની- હિરજી હસ મિસ્ત્રી રોડ જંકશનના રૂપિયાના ચોક સિક્કાવાળા સર્કલ ખાતે નવા ટ્રાફિક સિગ્નલો ઉભા કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત શહેરમાં ગુરુદ્વારા ચોકડી, જી.જી. હોસ્પિટલ ચોક, બેડી ગેઈટ ચોકમાં પણ ટ્રાફિક સિગ્નલો મુકવામાં આવ્યા હતા અને રૂ.૧૩ લાખના ખર્ચે રીપેર કરીને વર્ષ ર૦ર૧માં ચાલુ પણ કરવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસ હસ્તકના સિગ્નલો પૈકીના ગુરુદ્વારા ચોકડી, અંબર ચોકડી, નાગનાથ ગેઈટ ચોકડીના સિગ્નલો શહેરના ફલાય ઓવરના કામ માટે હાલ દૂર કરવામાં આવ્યા છે.
મહાનગરપાલિકાએ ટ્રાફિક પોલીસ તંત્રને સ્પષ્ટ ભલામણ કરી હતી કે, ઉપયોગ ન થવાને કારણે સિગ્નલો બગડી જવાની શકયતા રહેલી છે. છતાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક સિગ્નલનો ઉપયોગ કરીને લોકોને સિગ્નલો જોઈને વાહન ચલાવવા થોભાવવાના નિયમોનું પાલન કરાવવામાં આવતું નથી. શહેરમાં હાલ ટ્રાફિક વ્યવસ્થા હજી પણ મેન્યુઅલ ધોરણે જ ચાલી રહી છે.

