ઔડાનું ૨૦૨૬-૨૭નું રૂ.૩૧૦૧ કરોડનું બજેટ રજૂ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે આજે(૬ માર્ચ) રૂ. ૩૧૦૧.૭૩ કરોડનું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ઔડાના સીઈઓ દેવાંગ દેસાઇએ રજૂ કરેલા આ બજેટમાં શહેરના વિકાસ અને માળખાકીય સુવિધાઓ માટે મહત્ત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. આગામી વર્ષમાં સંસ્થાને રૂ.૩૧૧૯.૮૩ કરોડની આવક થવાનો અંદાજ છે.
ઔડા પોતાની આવક વધારવા માટે હસ્તગત કરેલા ૫૦થી વધુ પ્લોટોનું વેચાણ કરશે, જેનાથી રૂ. ૧૩૦૦ કરોડ ઊભા કરવાનું આયોજન છે. આ ઉપરાંત, દુકાનોના વેચાણમાંથી રૂ. ૫ કરોડ અને એફોર્ડેબલ હાઉસિંગના હપ્તા પેટે રૂ. ૧૫.૩૬ કરોડની આવક ગણતા કુલ રૂ. ૧૩૨૦.૩૬ કરોડની આવક થવાની શક્યતા છે. જોકે, ગત વર્ષે ૮૦૦ કરોડના લક્ષ્ય સામે માત્ર ૪૫૦ કરોડની જ આવક થઈ હતી.
રાજ્ય સરકારના સાણંદને સેટેલાઈટ ટાઉન તરીકે વિકસાવવાના નિર્ણયને બજેટમાં પ્રાધાન્ય અપાયું છે. સાણંદમાં પીપીપી ધોરણે સ્પોટ્ર્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે. ટી.પી. સ્કીમ અંતર્ગત સાણંદમાં રોડ નેટવર્ક, સ્ટ્રીટ ડેવલોપમેન્ટ, ગાર્ડન, તળાવોનું બ્યુટીફિકેશન, લાયબ્રેરી અને સ્પોટ્ર્સ સુવિધાઓ વિકસાવવામાં આવશે.
મણિપુર અને ગોધાવીમાં ‘મોડલ ટીપી સ્કીમ’ ઔડા દ્વારા ટીપી ૪૨ (મણિપુર-ગોધાવી) વિસ્તારમાં મોડલ ટીપી સ્કીમ સાકાર કરવામાં આવશે. આ વિસ્તારના વિકાસ માટે રૂ. ૨૭૫ કરોડની જોગવાઈ કરાઈ છે, જેમાં સાયકલ ટ્રેક, ફૂટપાથ, સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ, જંકશન ડેવલોપમેન્ટ, યુટીલીટી ડક અને તળાવ ડેવલોપમેન્ટ જેવા આધુનિક કામો હાથ ધરાશે.
ઔડા હસ્તકના મુખ્ય પાંચ ગ્રોથ સેન્ટરો— કલોલ, સાણંદ, મહેમદાવાદ, દહેગામ અને બારેજામાં નવા ટીપી રોડ બનાવવા માટે રૂ. ૬૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, હાલના રોડની જાળવણી અને નિભાવણી માટે અલગથી રૂ. ૧૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ઔડા વિસ્તારમાં પાણી અને ગટર વ્યવસ્થા માટે મોટી રકમ ફાળવાઈ છેઃ ખોડીયાર, લીલાપુર, જાસપુર, અસલાલી, જેતલપુર અને બારેજડી સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક અને એસટીપી માટે રૂ. ૩૫૦ કરોડ. કલોલ વિસ્તારમાં વરસાદી પાણીના નેટવર્ક માટે રૂ. ૧૦૦ કરોડ. સાણંદ અને કલાણા વિસ્તારમાં ડ્રેનેજ અને કેનાલ પર માઇનોર બ્રિજ બનાવવા માટે રૂ. ૧૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.
રહેઠાણની સુવિધા માટે ખોડીયાર ખાતે એલઆઈજી-ર પ્રકારના ૨૭૮ નવા આવાસો બનાવવામાં આવશે. સાણંદમાં ઈડબ્લ્યુએસ આવાસના કામો પૂર્ણ કરવા રૂ. ૪૫ કરોડ ફાળવાયા છે. તદુપરાંત, ખોડીયાર, લપકામણ, બોરીસા, તાજપુર અને લીલાપુરના તળાવોનું રિડેવલોપમેન્ટ કરવામાં આવશે, જ્યારે ગઢીયા અને જેતલપુર તળાવની કામગીરી પૂર્ણ કરાશે.
જાહેર જનતાની સુવિધા માટે વિવિધ પ્લોટ અને બ્રિજ નીચે ‘પે એન્ડ પાર્ક’ મોડલ હેઠળ ર્પાકિંગ વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. સાથોસાથ, બારેજા વોટર સપ્લાય પ્રોજેક્ટ માટે બારેજા નગરપાલિકાને જરૂરી જમીન ફાળવવાનો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

