અમદાવાદ, મોબાઈલ ફોન-પગાર વધારા સહિત અન્ય પડતર પ્રશ્નોને લઈને ૧.૪૦ લાખ આંગણવાડી બહેનો, આશા વર્કરો રસ્તા પર ઉતરી છે. એટલું જ નહીં, આંગણવાડીમાં ઓનલાઈન કામગીરીનો સંપૂર્ણપણે બહિષ્કાર કર્યાે છે.
એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો રાજ્યસરકાર ૧૨ માંગણી નહીં સ્વીકારે તો, આંગણવાડી બહેનો-આશા વર્કરો અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન કરી શકે છે.જો રાજ્ય સરકાર ૧૨ માંગણીઓ નહીં સ્વીકારે તો અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન કરાશે. વર્ષ ૨૦૨૨ માં આંગણવાડી બહેનોને નવા મોબાઈલ ફોન આપવામાં આવશે તેવું રાજ્ય સરકારે વચન આપ્યું હતું પણ હજુ સુધી નવા મોબાઈલ ફોન મળ્યા નથી.
જૂના મોબાઈલ ફોન ચાલતા જ નથી જેથી ઓનલાઈન કામગીરી કરવી અઘરી બની છે. નબળી એપ્લિકેશન જ નહીં, ગામડામાં નેટવર્કના ધાંધિયાને પગલે આંગણવાડી બહેનો આંગણવાડીમાં બાળકોને પોષણ આહાર આપવાને બદલે મોટાભાગનો સમય ડેટા એન્ટ્રી પાછળ વ્યતિત કરે છે.મોટાભાગની બહેનો પોતાના જ મોબાઈલ ફોનમાં નાછૂટકે સરકારી કામકાજ કરવા મજબૂર બની છે.
આ કારણોસર ૮૦ ટકા આંગણવાડી બહેનો-આશા વર્કરોએ મોબાઈલ ફોન પર ઓનલાઈન કામગીરી જ બંધ કરી દીધી છે. વર્ષ ૨૦૨૨ માં રાજ્ય સરકારના પાંચ મંત્રીઓએ પગાર વધારો કરવા આશ્વાસન પાઠવ્યું હતું, પણ ચાર વર્ષ પછી પણ પગાર વધારો કરાયો નથી.છેલ્લા ઘણા વર્ષાેથી માનદ વેતનમાં કોઈ વધારો જ કરાયો નથી.
હાઈકોર્ટના આદેશનું પણ રાજ્ય સરકાર પાલન કરવા તૈયાર નથી. ચાર ચાર બજેટ રજૂ થયા પછી પણ લાખો આંગણવાડી બહેનો-આશા વર્કરો વિશે જરાય ધ્યાન અપાયું નથી. જ્યારે આંગણવાડી બહેનો અને આશા વર્કર સરકારનું પાયાની કામગીરી કરતા કર્મચારીઓ પૈકીનાં એક છે. જો કે તેઓ સતત ઉપેક્ષાનો સામનો કરી રહ્યા છે.SS1MS

