(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજય સરકારના સહયોગથી કાર્યરત કરવામાં આવેલી એસવીપી હોસ્પિટલ શરૂઆતથી જ વિવાદમાં આવી ગઈ છે. એસવીપી હોસ્પિટલને ચલાવવા માટે સત્તાધારી પાર્ટીએ વી.એસ હોસ્પિટલને નામશેષ કરી છે.
પરંતુ દુઃખદ બાબત એ છે કે એસવીપી હોસ્પિટલ પણ ચાલતી નથી. અહીં ઈન્ડોર દર્દીઓની સંખ્યા બિલકુલ નહીંવત રહે છે. જયારે આઈસીયુ વોર્ડમાં દાખલ થતા દર્દીઓનો મૃત્યુ દર ખૂબ જ ચિંતાજનક છે. છેલ્લા સપ્તાહ દરમિયાન આ બાબતે એક યુવતીનો વિડીયો પણ વાયરલ થયો હતો.
અમદાવાદ મેડીકલ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત એસવીપી હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેતા પણ ડરી રહયા હોય તેવો માહોલ જોવા મળી રહયો છે જેનું મુખ્ય કારણ ગત સપ્તાહ દરમિયાન ગીરાબેન સોની નામના મહિલા દર્દીનું મૃત્યુ અને તેમની સારવાર દરમિયાન થયેલ છબરડા અંગે તેમની પુત્રીએ વાયરલ કરેલો વીડિયો હોવાનું માનવામાં આવે છે.

એસવીપી હોસ્પિટલના લોકાર્પણ સમય બાદ તરત જ કોરોના મહામારી શરૂ થઈ હતી તે સમયે દર્દીઓની સંખ્યા સામે મૃત્યુદર વધારે હતો પરંતુ તેને કોરોનાના કારણે મૃત્યુ થતા હોવાનું માનવામાં આવી રહયું હતું. પરંતુ કોરોના મહામારી પૂર્ણ થયા બાદ પણ એસવીપી હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓનો મૃત્યુ દર ૬.પ ટકા છે જે ખૂબ જ વધારે છે. આ ઉપરાંત આઈસીયુ વોર્ડમાં તેનો દર ખૂબ જ વધારે છે જેની પુષ્ટી હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા પણ કરવામાં આવી હતી.
એસવીપી હોસ્પિટલના ૧૦મા માળે આવેલ આઈસીયુ વોર્ડમાં દૈનિક સરેરાશ ૩ થી ૪ દર્દીના મૃત્યુ થઈ રહયા છે. પ્રાપ્ય માહિતી મુજબ છેલ્લા ૪ વર્ષમાં આઈસીયુ વોર્ડમાં ૪૬૦૪ મરણ થયા છે. આ આંકડા અત્યંત ગંભીર અને ચોંકાવનારા હોવાનું માનવામાં આવે છે. એસવીપી હોસ્પિટલમાં દર્દીઓના થઈ રહેલ મરણ મામલે વહીવટીતંત્ર નિષ્ક્રિય છે જયારે નિષ્ણાંત તબીબોની બેદરકારી પણ બહાર આવી રહી છે.
હોસ્પિટલ માત્ર ને માત્ર રેસીડેન્સીયલ કે જુનીયર ડોકટરોના ભરોસે જ ચાલી રહી છે તે બાબત વખતોવખત પુરવાર થઈ છે. એસવીપી હોસ્પિટલના લોકાર્પણ પહેલાથી જ ગરીબો માટે શ્રેષ્ઠ માનવામાં આવતી વી.એસ. હોસ્પિટલને નામશેષ કરવામાં આવી છે. હવે શાસક પક્ષને વી.એસ. ચલાવવી નથી જયારે એસવીપી ચાલતી નથી તેથી ‘સાપે છંછુદર ગળ્યા’ જેવો ઘાટ થયો છે અને તેનો ભોગ અમદાવાદ શહેરના ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકો બની રહયા છે.

