પાટણ, કઠોર પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી. આ વાતને ફરી એક વખત સાબિત કરી બતાવી છે વિપુલ કરમણભાઈ ચૌધરીએ. વિપુલ ચૌધરી સાંતલપુરના હમીરપુરા ગામના રહેવાસી છે. જેઓએ વર્ષ ૨૦૨૪માં યુપીએસસીમાં ૩૪૮ મો રેન્ક મેળવીને આઈપીએસ બન્યા હતા.
આઈપીએસ બન્યા બાદ પણ વિપુલ ચૌધરીએ મહેનત ન છોડી અને આખરે વર્ષ ૨૦૨૫ની યુપીએસસી પરીક્ષામાં ૧૧૫મો રેન્ક મેળવીને IASનું પદ મેળવ્યું. સતત ૧૮ કલાકનું વાંચન અને ૫ પ્રયત્નો છતાં હિંમત હાર્યા વગર તેમણે આ મુકામ હાંસલ કર્યુ. વિપુલ ચૌધરીનું કહેવું છે કે જો તમે લક્ષ્યને નક્કી કરીને મહેનતને જ મંત્ર બનાવશો તો સફળતા ચોક્કસ તમારું સરનામું શોધતી આવશે.
પાટણ જિલ્લાના સરહદી સાંતલપુરના હમીરપુરા ગામના વિપુલ કરમણભાઈ ચૌધરીએ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં સતત બીજા વર્ષે ઝળહળતી સફળતા મેળવી આખા પંથકનું નામ રોશન કર્યું છે. ગત વર્ષે ૨૦૨૪માં ૩૪૮મો રેન્ક મેળવી આઈપીએસ બનનાર વિપુલ ચૌધરીએ પોતાની મહેનત છોડી નહીં અને આ વર્ષે ૨૦૨૫માં ૧૧૫મો રેન્ક હાંસલ કરી આઈએએસનું પદ મેળવ્યું છે.
વિપુલ ચૌધરીના પિતા કરમણ ચૌધરીની ઈચ્છા હતી કે, તેમનો દીકરો મામલતદાર બને, પરંતુ વિપુલ ચૌધરીનું માનવું છે કે આઈપીએસ તરીકે કાયદો-વ્યવસ્થાની જવાબદારી હોય છે, પરંતુ આઈએએસ બનીને તે સીધા જ ખેડૂતો અને છેવાડાના માનવીના જીવનધોરણને ઊંચું લાવવા માટે નીતિવિષયક નિર્ણયો લઈ શકશે.
આ જ ઉમદા હેતુથી તેમણે આઈપીએસ ની ટ્રેનિંગ પણ જોઈન નહોતી કરી અને રજા લઈને આઈએએસની તૈયારીમાં લાગી ગયા હતા. વિપુલ ચૌધરીને કંઈક મોટું કરવાનો સંકલ્પ હતો. સરહદી વિસ્તારમાં ખેડૂતો, સામાન્ય લોકોની હાડમારી જોઈ તેણે યુપીએસસીની તૈયારી શરૂ કરી હતી. સતત ૧૮ કલાકનું વાંચન અને ૫-૫ પ્રયત્નો છતાં હિંમત હાર્યા વગર તેણે આ મુકામ હાંસલ કર્યો છે.
ઈન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ આવવા છતાં હતાશ થયા વગર પોતાની ભૂલ સુધારી તે આજે આઈએએસ બન્યા છે. તેઓ કહે છે કે, યુપીએસસી ક્લિયર કરવી એ મેરેથોન દોડ જેવી છે. શરૂઆત સહેલી લાગે પણ અંત સુધી ટકી રહેવું અઘરું છે.

