સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં તોતિંગ વધારો
(એજન્સી)રાજકોટ, વિશ્વના બે દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેની સીધી અસર હવે ભારતીય બજાર અને ખાસ કરીને ખાદ્યતેલો પર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના મુખ્ય માર્કેટ યાર્ડ ગણાતા રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો ઝીંકવામાં આવ્યો છે. સિંગતેલ, કપાસિયા અને પામતેલના ભાવમાં રાતોરાત થયેલા આ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.
યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલ અને ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ખર્ચમાં વધારો થતા ખાદ્યતેલના ડબ્બાના ભાવ આસમાને પહોંચ્યા છે. રાજકોટ માર્કેટમાં આજે સિંગતેલના ડબ્બા દીઠ રૂપિયા ૨૦નો વધારો નોંધાયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બા દીઠ રૂપિયા ૩૦નો વધારો નોંધાયો છે.
આ સાથે પામતેલના ડબ્બોમાં સૌથી વધુ રૂપિયા ૬૦નો વધારો નોંધાયો છે. ભાવવધારા બાદ હવે બજારમાં તેલના ભાવ નવી સપાટીએ પહોંચ્યા છે. જેમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા ૨૮૬૦ થી ૨૯૧૦, કપાસિયા તેલના ડબ્બાના ભાવ રૂપિયા ૨૩૬૦ થી ૨૩૮૫ અને પામતેલ રૂપિયા ૨૩૦૦ થી ૨૩૬૦ ના દરે વેચાઈ રહ્યો છે.
વેપારીઓના મતે જો યુદ્ધની સ્થિતિ લાંબી ચાલશે, તો આગામી દિવસોમાં હજુ પણ ભાવમાં વધારો થવાની શક્્યતા છે. મોંઘવારીના આ મારથી સામાન્ય મધ્યમવર્ગીય પરિવારોમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે.

