નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર અર્શદીપ સિંહને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ફટકાર લગાવી છે. ICCએ અર્શદીપ સિંહને દંડ ફટકાર્યો છે. ભારત દ્વારા ન્યુઝીલેન્ડ સાથે રમાયેલ ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં રવિવારે અર્શદીપ અને મિશેલ વચ્ચે ટક્કર થઈ હતી. આ વિવાદને લઈને ICCએ આચાર સંહિતાના લેવલ-1 ભંગ માટે અર્શદીપને જવાબદાર ગણાવ્યો હતો.
ICCએ અર્શદીપને મેચ ફીના 15 ટકાનો દંડ ફટકાર્યો છે. અર્શદીપ સિંહને ICC આચાર સંહિતાની કલમ 2.9 માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આ નિયમ આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ખેલાડી તરફ અથવા તેની નજીક અયોગ્ય અથવા ખતરનાક રીતે બોલ અથવા ક્રિકેટના સાધનો ફેંકવા સાથે સંબંધિત છે.
દંડ ઉપરાંત અર્શદીપ સિંહના અનુશાસનાત્મક રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ પણ જોડવામાં આવ્યો છે. છેલ્લા 24 મહિનામાં તેનું આ પ્રકારનું પ્રથમ ઉલ્લંઘન છે. આ ઘટના ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 11મી ઓવરમાં બની હતી. તે સમયે અર્શદીપે બોલ ફિલ્ડ કરીને બેટ્સમેન ડેરિલ મિશેલ તરફ ઝડપથી ફેંક્યો, જે તેના પેડ સાથે અથડાયો. જો કે, આ મામલામાં ઔપચારિક સુનાવણીની જરૂર નહોતી, કારણ કે ભારતીય બોલરે મેચ રેફરીએ આપેલી સજાને સ્વીકારી લીધી હતી. ઓવરના અંત બાદ ડેરિલ મિશેલ અને અર્શદીપ સિંહ પણ હાથ મિલાવતા જોવા મળ્યા હતા.

