કાઠમંડુ: નેપાળના ગૃહમંત્રી સુધન ગુરુંગે માત્ર 26 દિવસમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બુધવારે, તેમણે એક ફેસબુક પોસ્ટમાં રાજીનામું આપવાની જાહેરાત કરી હતી જેમાં તેમની નાણાકીય સંપત્તિ વિશે ઉભી થયેલી ચિંતાઓની નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી હતી. આ પગલાથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
દીપક ભટ્ટ સાથે વિવાદ અને આક્ષેપોનો પડછાયો
સુધન ગુરુંગ પર વિવાદાસ્પદ ઉદ્યોગપતિ દીપક ભટ્ટ સાથેના વ્યવસાયિક સંબંધો અને માઇક્રો ઇન્સ્યોરન્સ કંપનીઓમાં શંકાસ્પદ રોકાણનો આરોપ હતો. દીપક ભટ્ટ મની લોન્ડરિંગના આરોપમાં તપાસ હેઠળ છે, અને આ વિવાદોએ ગુરુંગની છબી પર પણ સવાલો ઉભા કર્યા છે.
ભ્રષ્ટાચાર સામે વલણ
ગૃહમંત્રી બન્યા બાદ સુધન ગુરુંગે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ આક્રમક પગલાં ભર્યા હતા, પરંતુ હવે તેમના અંગત રોકાણને કારણે તેમને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. વ્યાપક વિરોધ અને જાહેર દબાણ પછી તેમણે રાજીનામું આપવાનું નક્કી કર્યું. ફેસબુક પોસ્ટમાં સુધન ગુરુંગે લખ્યું, ‘મારા સંબંધિત આરોપોની નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા અને હોદ્દો સંભાળતી વખતે હિતોના ટકરાવને ટાળવા અને તપાસ પ્રક્રિયા પર કોઈ પ્રભાવ ન પડે તે માટે મેં ગૃહ પ્રધાન પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે.’
સુધન ગુરુંગે કહ્યું, ‘મારા માટે નૈતિકતા પદથી ઉપર છે અને જનતાના વિશ્વાસથી મોટી કોઈ શક્તિ નથી. નેપાળમાં ચાલી રહેલ જનરલ ઝેડ ચળવળ, જે સુશાસન, પારદર્શિતા અને જવાબદારીની માંગ કરી રહી છે, તેણે પણ એ જ સંદેશ આપ્યો છે કે જાહેર જીવન સ્વચ્છ હોવું જોઈએ અને નેતૃત્વ જવાબદાર હોવું જોઈએ. મારા 46 ભાઈઓ અને બહેનોના લોહી અને બલિદાનથી બનેલી સરકારને કોઈ પ્રશ્ન કરે તો તેનો જવાબ નૈતિકતા છે. તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ તેમના પર લાગેલા આરોપોની તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે.
સુધન ગુરુંગે અપીલ કરી છે કે ઘણી બધી અફવાઓ ફેલાય છે તેથી અટકળો ન કરો. તેમણે કહ્યું, ‘આરોપ અને સત્ય એક નથી. પુરાવાના આધારે નિર્ણય લેવા જોઈએ, લાગણીઓના આધારે નહીં. હું પાર્ટી દ્વારા લેવામાં આવેલા દરેક નિર્ણયને સમર્થન આપીશ અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ.
આ પણ વાંચોઃ યુદ્ધવિરામ કે છેતરપિંડી… ટ્રમ્પની જાહેરાતથી વધ્યો યુદ્ધનો ડર, ઈરાન અંગે અમેરિકી રાષ્ટ્રપતિનું મોટું નિવેદન

