ભારતમાં T20 વર્લ્ડ કપની મેચો ન રમવાનો બાંગ્લાદેશનો આગ્રહ મોંઘો સાબિત થયો. જ્યારે બાંગ્લાદેશ ઘણી સમજાવટ છતાં સહમત ન થયું તો ICCએ તેમને સીધા જ ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો બતાવી દીધો. તેના સ્થાને સ્કોટલેન્ડે ટી20 વર્લ્ડ કપમાં પ્રવેશ કર્યો છે. હવે પાકિસ્તાન પર ICCની તલવાર લટકી રહી છે. વાસ્તવમાં, પાકિસ્તાન ભારતમાં ન રમવાના નિર્ણય માટે બાંગ્લાદેશનું સતત સમર્થન કરી રહ્યું હતું. પાડોશી દેશ તરફથી એવા અહેવાલો પણ આવ્યા હતા કે પાકિસ્તાન ICCને ધમકી આપી રહ્યું છે કે જો બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે તો તે પોતાનું નામ પણ પાછું ખેંચી શકે છે. જો પાકિસ્તાન આવું કરે છે તો ICC તેના પર 3 કડક પ્રતિબંધો લગાવી શકે છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, બાંગ્લાદેશના સમર્થનમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વડા મોહસિન નકવીના તાજેતરના નિવેદનોથી ICC કથિત રીતે નારાજ છે.
એક સૂત્રએ કહ્યું, “જો પાકિસ્તાન પણ T20 વર્લ્ડ કપ ન રમવાનો નિર્ણય કરે છે, તો ICC વિવિધ પ્રતિબંધો લાદશે, જેમાં કોઈપણ આંતરરાષ્ટ્રીય ટીમ સાથે દ્વિપક્ષીય શ્રેણી નહીં, વિદેશી ખેલાડીઓને PSLમાં NOC નહીં મળે અને એશિયા કપમાં ભાગ લઈ શકશે નહીં.”
નકવીએ અગાઉ “બેવડા ધોરણો” માટે ICCની ટીકા કરી હતી અને કહ્યું હતું કે બાંગ્લાદેશ સાથે અન્યાયી વર્તન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભાગીદારી સરકારના ઉચ્ચ સ્તરે નક્કી કરવામાં આવશે, જે વડાપ્રધાન શહેબાઝ શરીફ વિદેશથી પરત ફર્યા બાદ થશે.

