દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કહ્યું કે ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી ટી20 ઈન્ટરનેશનલ સીરીઝને માત્ર પ્રેક્ટિસ તરીકે જોવી જોઈએ. તેણે કહ્યું કે ભારત T20 વર્લ્ડ કપમાં પોતાના ખિતાબનો બચાવ કરવા માટે ખંતપૂર્વક તૈયારી કરી રહ્યું છે અને કોઈ પણ બાબતને હળવાશથી લઈ રહ્યું નથી. ભારતીય બેટિંગના ઊંડાણનો ઉલ્લેખ કરતા તેણે કહ્યું કે અત્યારે રિંકુ સિંહ અને હાર્દિક પંડ્યા જેવા બેટ્સમેનોનો વારો નથી આવી રહ્યો અને ટીમ ઈન્ડિયા જીતી રહી છે.
ભારતીય ટીમે રવિવારે ગુવાહાટીમાં આઠ વિકેટની શાનદાર જીત સાથે પાંચ મેચની શ્રેણીમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. આ પછી ગાવસ્કરે ભારતીય ટીમના વખાણ કર્યા અને તેની તાકાત વિશે વાત કરી.
વાસ્તવિક કામ 7 ફેબ્રુઆરીથી શરૂ થશેઃ ગાવસ્કર
ગાવસ્કરે Jio Hotstarના એક કાર્યક્રમમાં કહ્યું, ‘આ સિરીઝ ભૂખ જગાડવા જેવી છે. ખરી કામગીરી 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. સિરીઝ જીત્યા બાદ હવે તમામ ફોકસ વર્લ્ડ કપ ટાઇટલ બચાવવા પર છે. આ ખેલાડીઓ તેના માટે સારી તૈયારી કરી રહ્યા છે.
તેણે કહ્યું, ‘તેમાંથી કેટલાકને બેટિંગ કરવાની તક પણ મળી નથી, તેથી તેઓ ‘રેન્જ હિટિંગ, ટાઇમિંગ, રિધમ, બેટ ફ્લો અને પિક-અપ’ પર કામ કરી રહ્યા છે. આ દર્શાવે છે કે આ ટીમનું ધ્યાન સંપૂર્ણપણે તેના લક્ષ્ય પર કેન્દ્રિત છે. તેઓ વર્લ્ડ કપને હળવાશથી નથી લઈ રહ્યા. તેઓ કંઈપણ હળવાશથી લેતા નથી.

