આસામના હોજાઈ જિલ્લામાં શનિવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સાયરાંગ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેન હાથીઓના ટોળા સાથે અથડાઈ. આ અકસ્માતમાં આઠ જંગલી હાથીઓના મોત થયા હતા, જ્યારે એક હાથી ગંભીર રીતે ઘાયલ થયો હતો. વન વિભાગના અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. અકસ્માત એટલો મોટો હતો કે ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
ઉત્તરપૂર્વ સીમા રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી કપિંજલ કિશોર શર્મા પાસેથી મળેલી માહિતી અનુસાર, આ ઘટના સવારે લગભગ 2.17 વાગ્યે બની હતી. અકસ્માતનું સ્થળ ગુવાહાટીથી લગભગ 126 કિલોમીટર દૂર હોવાનું કહેવાય છે. ટ્રેક પર હાથીઓના ટોળાને જોઈને લોકો પાયલટે ઈમરજન્સી બ્રેક લગાવી હતી, પરંતુ તેમ છતાં હાથીઓ ટ્રેન સાથે અથડાઈ ગયા હતા, જેના કારણે એન્જિન સહિત છ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.
ઘટનાની માહિતી મળતાની સાથે જ અકસ્માત રાહત ટ્રેન અને લુમડિંગ વિભાગીય મુખ્યાલયના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સાથે NF રેલવેના જનરલ મેનેજર અને લુમડિંગ ડિવિઝનલ રેલવે મેનેજર પણ ઘટનાસ્થળે રવાના થયા હતા. અસરગ્રસ્ત કોચના મુસાફરોને અસ્થાયી રૂપે સુરક્ષિત રીતે ટ્રેનના અન્ય કોચમાં ઉપલબ્ધ ખાલી બર્થ પર ખસેડવામાં આવ્યા હતા. રેલવે પ્રશાસને મુસાફરોની સહાયતા માટે ગુવાહાટી રેલવે સ્ટેશન પર હેલ્પલાઇન નંબરો પણ જારી કર્યા છે – 0361-2731621 / 2731622 / 2731623.
રેલવે અધિકારીએ જણાવ્યું કે અસરગ્રસ્ત કોચને અલગ કર્યા બાદ ટ્રેનને સવારે 06:11 વાગ્યે ગુવાહાટી રવાના કરવામાં આવી હતી. ગુવાહાટી પહોંચતા, મુસાફરોની સુવિધા માટે વધારાના કોચ ઉમેરવામાં આવશે, ત્યારબાદ ટ્રેન આગળની મુસાફરી માટે રવાના થશે.
રેલ્વેના જણાવ્યા અનુસાર, જે જગ્યાએ અકસ્માત થયો તે નોટિફાઈડ એલિફન્ટ કોરિડોર નથી. હાલમાં આ વિભાગમાંથી પસાર થતી ટ્રેનોને અપ લાઇન પરથી ડાયવર્ટ કરવામાં આવી રહી છે. ટ્રેકનું રિપેરિંગ અને રિસ્ટોરેશનનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે. રેલ્વે પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને જરૂરી માહિતી માટે માત્ર રેલ્વે દ્વારા જારી કરાયેલી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરે.

