નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી(NIA)એ આજે ગુરુવારે મુંબઈ, થાણે અને પુણેમાં દરોડા પાડીને મહારાષ્ટ્રમાં ISIS મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. NIAએ પાડેલા દરોડાની કાર્યવાહીમાં 4 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં તાબીશ નસીર સિદ્દીકી, ઝુબેર નૂર મોહમ્મદ શેખ, અબુ નુસાઈબા કોંધવા અને શરજીલ શેખ ઉર્ફે ઝુલ્ફીકાર અલી બડોદાવાલાનો સમાવેશ થાય છે. આ ચારેય વ્યક્તિ ISISની સૂચના પર ભારતમાં કામ કરતા હતા. તાબીશ મુંબઈના નાગપાડાનો રહેવાસી છે. ઝુબેર અને અબુ પુણેના છે અને શરજીલ શેખ થાણેનો છે. અગાઉ સોમવારે પણ NIAએ દરોડા પાડ્યા હતા. 28 જૂન 2023ના રોજ પણ NIA દ્વારા ISIS સાથે જોડાયેલા 5 શંકાસ્પદ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાંથી ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ અને આઈએસઆઈએસ સંબંધિત સામગ્રી ધરાવતા અનેક દસ્તાવેજો મળી આવ્યા હતા. આ દરોડામાં યુવાનોને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કરવાના અને તેમને ISISમાં જોડાવા માટે પ્રેરિત કરવાના પુરાવા મળ્યા છે.
ધરપકડ કરાયેલા ચાર આરોપીઓ વિશે NIA દ્વારા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તેઓ ISISની આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. જેઓ ઈસ્લામિક સ્ટેટ (IS) અને ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ લેવન્ટ (ISIL) જેવા અલગ-અલગ નામોથી ઓળખાય છે. આ આરોપીઓની ભારતની એકતા, અખંડિતતા, સુરક્ષા અને સાર્વભૌમત્વને ખલેલ પહોંચાડવાના પ્રયાસના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ લોકો ISISના મોટા કાવતરાનો મહત્વનો ભાગ બનીને મહારાષ્ટ્રમાં સ્લીપર સેલ તૈયાર કરવા અને ચલાવવાનું કામ કરતા હતા. આ રીતે આ લોકો ભારત સરકારને પડકાર ફેંકતા હતા. અબુ નુસૈબા, ઝુબેર નૂર મોહમ્મદ શેખ, તાબીશ નાસેર સિદ્દીકી અને ઝુલ્ફીકાર અલી બરોડાવાલાએ તેમના સહયોગીઓ સાથે મળીને તેમની ટીમમાં યુવાનોની ભરતી કરી અને તેમને હથિયાર બનાવવાની તાલીમ આપી હતી. આ કાર્યોથી સંબંધિત ડુ ઈટ યોરસેલ્ફ (DIY) જેવી સામગ્રી આપી. ઉપરાંત, વિદેશમાં હાજર ISIS હેન્ડલર્સની સૂચના મુજબ, આતંક અને હિંસા ફેલાવવાના એજન્ડાને આગળ વધારવા માટે ‘વોઈસ ઓફ હિંદ’ નામના માસિક મેગેઝિનમાં વાંધાજનક સામગ્રી પ્રકાશિત કરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પુણેથી અટકાયત કરાયેલ ઝુબેર ISIS શિમોગા (કર્ણાટક)ના મોડ્યુલ સાથે સંબંધિત હતો.