સતત વધી રહેલા દબાણ અને વિરોધ વચ્ચે, પાકિસ્તાનમાં શાહબાઝ શરીફની સરકાર હવે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને અદિયાલા જેલમાંથી અન્ય જગ્યાએ ખસેડવાની તૈયારી કરી રહી છે. મળતી માહિતી મુજબ, 2 વર્ષથી વધુ સમયથી જેલમાં રહેલા ઈમરાન ખાનને ટૂંક સમયમાં આ જેલમાંથી રાવલપિંડીની બીજી જેલમાં મોકલવામાં આવી શકે છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ઈમરાન ખાનના સમર્થનમાં સતત પ્રદર્શનને કારણે પ્રશાસન પર દબાણ વધી રહ્યું છે અને સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે સ્થિતિ વધુ બગડી શકે છે.
વિઓન ન્યૂઝના અહેવાલ મુજબ, પાકિસ્તાનના એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેની વાતચીત બાદ ખાનને અન્ય જગ્યાએ મોકલવા પર ગંભીર વિચારણા કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર પૂર્વ વડાપ્રધાનને એટોક જિલ્લા જેલમાં શિફ્ટ કરવામાં આવી શકે છે.
શરીફ સરકારનું શું બહાનું?
જ્યાં એક તરફ આ વિરોધ પ્રદર્શનો બાદ શાહબાઝ શરીફની સરકાર જવાબ આપી શકતી નથી તો બીજી તરફ સરકાર નવા નવા બહાના કરી રહી છે. વડા પ્રધાનના પ્રવક્તા ઇખ્તિયાર વલીએ કહ્યું છે કે સતત વિરોધ પ્રદર્શનને કારણે જેલની નજીક રહેતા લોકોનું રોજિંદા જીવન પ્રભાવિત થઈ રહ્યું છે. સરકારે એમ પણ કહ્યું છે કે સાર્વજનિક પ્રદર્શનોની આડમાં પીટીઆઈના કેટલાક નેતાઓ જાણીજોઈને સ્થિતિને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હિંસા ફરી ફાટી નીકળી
આ પહેલા ફરી એકવાર અદિયાલા જેલની બહાર વિરોધ ઉગ્ર બન્યો છે. ગયા મંગળવારે, જ્યારે જેલ સત્તાવાળાઓએ ઇમરાન ખાનની બહેનો અને તેની કાનૂની ટીમને ખાનને મળવાની મંજૂરી ન આપી ત્યારે તણાવ વધુ વધી ગયો. આ પછી અલીમા ખાન અને ઉઝમા ખાને અન્ય સમર્થકો સાથે જેલની બહાર પડાવ નાખ્યો અને સૂત્રોચ્ચાર કર્યા.
બુધવારે વહેલી સવારે પંજાબ પોલીસે ભીડને વિખેરવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો અને અનેક વાહનો પણ જપ્ત કર્યા હતા. ઈમરાન ખાનની પાર્ટીએ આવી કાર્યવાહીની આકરી ટીકા કરી છે. પીટીઆઈએ કહ્યું છે કે કોર્ટના આદેશો છતાં ઈમરાન ખાનના પરિવારને મળવા દેવામાં નથી આવી રહ્યા.

