મુંબઈનો સરફરાઝ ખાન ઘરેલુ ક્રિકેટમાં પોતાના સાતત્યપૂર્ણ પ્રદર્શનથી ભારતીય ટીમના દરવાજા ખખડાવી રહ્યો છે. તાજેતરમાં યોજાયેલી વિજય હજારે ટ્રોફીમાં તેણે શાનદાર સ્ટ્રાઈક રેટ સાથે ઘણી તોફાની ઈનિંગ્સ રમી હતી અને ફોર્મેટ બદલાતાની સાથે જ તેણે પોતાની રમવાની શૈલી બદલી નાખી હતી. રણજી ટ્રોફીના 6ઠ્ઠા રાઉન્ડમાં મુંબઈની મેચ હૈદરાબાદ સામે ચાલુ છે. આ મેચમાં સરફરાઝ ખાને મેરેથોન ઇનિંગ રમીને બેવડી સદી ફટકારી હતી. ટીમ માટે ઝડપી રન બનાવવાના પ્રયાસમાં, તે 227ના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. તેણે આ ઇનિંગમાં 19 ચોગ્ગા અને 9 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા.
સરફરાઝ ખાને ફરી એકવાર પોતાની ઇનિંગથી પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. સરફરાઝ છેલ્લે નવેમ્બર 2024માં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ભારત માટે રમ્યો હતો, ત્યારબાદ તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમનો ભાગ હતો, પરંતુ તેને રમવાની તક મળી ન હતી. ત્યારબાદ અચાનક તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
જો કે, ડ્રોપ થવા છતાં તે ડોમેસ્ટિક સર્કિટમાં સતત રન બનાવી રહ્યો છે. તે 2025-26 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈનો બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, તેણે સાત મેચમાં 65.80ની એવરેજ અને 203.80ની સ્ટ્રાઈક રેટ સાથે 329 રન બનાવ્યા હતા.

