ભારત અને શ્રીલંકામાં યોજાનાર આગામી T20 વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો જ બાકી છે, પરંતુ પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે કે નહીં તે અંગે શંકા છે. બાંગ્લાદેશે ભારતમાં સુરક્ષાની ચિંતાને ટાંકીને ટુર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. જે બાદ ICCએ તેની જગ્યાએ સ્કોટલેન્ડને વર્લ્ડ કપમાં સામેલ કરી લીધું છે. પાકિસ્તાને ICCના આ નિર્ણય સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને ટૂર્નામેન્ટમાંથી ખસી જવાની ધમકી આપી હતી. જોકે, ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ટકરાવ વચ્ચે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આ મામલે પોતાનું મૌન તોડ્યું છે.
શ્રીલંકા ક્રિકેટ સચિવ બંધુલા દિસાનાયકેએ કોલંબોમાં એએફપીને જણાવ્યું હતું કે શ્રીલંકા પ્રાદેશિક વિવાદોમાં ફસાવવાનું ટાળવા માંગે છે. T20 વર્લ્ડ કપ 2026ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ શ્રીલંકાના મિત્ર રાષ્ટ્ર છે અને તેમની સાથેના સંબંધો હંમેશા સૌહાર્દપૂર્ણ રહ્યા છે. “ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેના આ વિવાદોમાં અમે તટસ્થ રહીએ છીએ; તે બધા અમારા મિત્ર દેશો છે. અમે તમામ ટીમોનું સ્વાગત કરવા માટે તૈયાર છીએ,” તેમણે ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં જો પૂછવામાં આવે તો શ્રીલંકા આમાંથી કોઈપણ દેશ માટે ટુર્નામેન્ટની યજમાની કરવા તૈયાર છે.
બાંગ્લાદેશે સુરક્ષાના કારણોસર ભારત જવાની ના પાડી દીધી હતી અને વૈકલ્પિક સ્થળની માંગણી કરી હતી. ICCએ આ માંગને ફગાવી દીધી હતી અને સત્તાવાર રીતે તેમની જગ્યાએ સ્કોટલેન્ડનો સમાવેશ કરવાની જાહેરાત કરી હતી. પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીએ આ અંગે આકરી પ્રતિક્રિયા આપી અને આઈસીસી પર ભારતની તરફેણમાં બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો. ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની પ્રથમ મેચ ઓપનિંગ ગેમ છે, જે કોલંબોમાં 7 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ સામે રમાશે.
ICCના મૂલ્યાંકન મુજબ, બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને ભારતમાં કોઈ સુરક્ષા ખતરો ન હતો, પરંતુ દેશના ક્રિકેટ બોર્ડે હજુ પણ ત્યાં પ્રવાસ ન કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી ICCએ 7 ફેબ્રુઆરીથી શરૂ થનારી ટૂર્નામેન્ટ માટે બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડનો સમાવેશ કર્યો હતો.

