આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્યની બદલાતી વસ્તીને લઈને ગંભીર ચેતવણી આપી છે. શનિવારે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું હતું કે જો રાજ્યમાં બાંગ્લાદેશી મૂળના લોકોની વસ્તી 50 ટકાને વટાવી જાય તો આસામને બાંગ્લાદેશનો ભાગ બનાવવાના પ્રયાસો શરૂ કરી શકાય છે. તેમણે આ સ્થિતિને આસામની ઓળખ અને સંસ્કૃતિ માટે મોટો ખતરો ગણાવ્યો હતો.
આંકડાઓને ટાંકીને મુખ્યમંત્રી સરમાએ કહ્યું કે હાલમાં બાંગ્લાદેશી મૂળના લોકોની વસ્તી 40 ટકાને વટાવી ગઈ છે અને તે સતત વધી રહી છે. તેમણે કહ્યું, “આજે આપણે આ વાસ્તવિકતા આપણી પોતાની આંખોથી જોઈ રહ્યા છીએ. જો આ વસ્તી 50 ટકાથી વધી જશે તો આસામનું અસ્તિત્વ જોખમમાં આવી જશે.”
બાંગ્લાદેશમાં ‘દીપુ દાસ’ની તાજેતરની મોબ લિંચિંગનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ આસામના લોકોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે જો આજે ત્યાં આવી ઘટનાઓ બની રહી છે, તો આસામના લોકો કલ્પના કરી શકે છે કે આગામી 20 વર્ષમાં અહીં કેવી સ્થિતિ હશે. તેમણે ઘૂસણખોરોની વફાદારી પર પણ સવાલો ઉઠાવ્યા અને પૂછ્યું કે જો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યુદ્ધ થશે તો આ લોકો કોને સાથ આપશે?
આગામી વિધાનસભાની ચૂંટણીને માત્ર રાજકીય હરીફાઈ તરીકે સમજવાને બદલે મુખ્યમંત્રીએ તેને ‘સંસ્કૃતિની લડાઈ’ ગણાવી હતી. તેમણે કોંગ્રેસ પર દાયકાઓથી તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો, જેના કારણે રાજ્યમાં ‘નવી સભ્યતા’ વિકસિત થઈ છે. તેમની સંખ્યા હવે અંદાજે 1.5 કરોડ સુધી પહોંચી ગઈ છે.
સરમાએ કહ્યું કે આ લડાઈ આપણી જમીન (માટી), ઓળખ (જાતિ) અને આધાર (ભેટી) બચાવવાની છે. ભાજપને આસામ માટે ‘આશાનું છેલ્લું કિરણ’ ગણાવતા તેમણે કહ્યું કે પક્ષ રાજ્યને ઘૂસણખોરોના કારણે અંધકારમાં ફસવાથી બચાવશે.

