વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ અને તણાવ સતત વધી રહ્યો છે. વાતચીતમાં ભારત અને ઈરાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો તેમજ પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશમાં વધી રહેલા તણાવ અંગે ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીએ ભારતની જૂની નીતિને પુનરોચ્ચાર કર્યો હતો કે તમામ વિવાદોનો ઉકેલ વાતચીત અને કૂટનીતિથી થવો જોઈએ. તેમણે કહ્યું કે ભારત આ ક્ષેત્રમાં સ્થાયી શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવાના તમામ પ્રયાસોને સમર્થન આપવાનું ચાલુ રાખશે.
બેઠકમાં ભારતે દરિયાઈ માર્ગો અને વેપારની સુરક્ષાને લઈને પણ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર નેવિગેશનની સ્વતંત્રતા અને વેપાર પ્રવૃત્તિઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સંઘર્ષ દરમિયાન નાગરિકો, નાગરિક માળખાકીય સુવિધાઓ, વેપારી જહાજો અને નાવિકોને કોઈ પણ સંજોગોમાં નુકસાન ન થવું જોઈએ. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવની અસર દરિયાઈ પરિવહન અને વેપાર માર્ગો પર પડી રહી છે. આવી સ્થિતિમાં જહાજો અને તેમાં કામ કરતા ભારતીય નાવિકોની સુરક્ષા ભારત માટે મહત્વનો મુદ્દો બની ગયો છે.
ભારત-ઈરાન વેપારને વધુ મજબૂત કરવા પર ચર્ચા
વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પણ ભારત-ઈરાન વેપારને વધુ મજબૂત કરવા ચર્ચા કરી હતી. બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું કે ભારત આવનારા સમયમાં ઈરાન સાથેના વેપારને વિસ્તારવા અને વિવિધતા લાવવા ઈચ્છે છે. તેમણે વિવિધ ક્ષેત્રોમાં ઈરાન સાથે ભારતની લાંબા ગાળાની મિત્રતાને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પશ્ચિમ એશિયામાં વર્તમાન સંકટ વચ્ચે, આ વાતચીત ભારત માટે વ્યૂહાત્મક અને આર્થિક રીતે મહત્વપૂર્ણ છે.

