ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સિક્કિમ રાજ્યના 48મા સ્થાપના દિવસની રાજભવન ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારતમાં ઘણી ભાષાઓ, બોલીઓ અને સંસ્કૃતિઓ છે, ખાનપાનની આદતો પણ અલગ છે, પરંતુ એક ભારતનો ખ્યાલ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને મજબૂત કરી રહ્યો છે.
આચાર્ય દેવવ્રતે કહ્યું કે 16 મે, 1975ના રોજ ભારતમાં વિલીન થનાર સિક્કિમ રાજ્ય દેશનું સૌથી નાનું અને સૌથી પ્રિય રાજ્ય છે. સિક્કિમ ભારતમાં પણ વિશેષ મહત્વ ધરાવતો પ્રદેશ છે કારણ કે પરિવારમાં સૌથી નાની વ્યક્તિને વિશેષ મહત્વ મળે છે. તેમણે સિક્કિમના નાગરિકોને સ્થાપના દિવસ પર અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.
ગુજરાતમાં રહેતા સિક્કિમના અગ્રણી નાગરિકો અને મહાનુભાવોએ સિક્કિમના કલાકારોના અભિનયનો આનંદ માણ્યો હતો. સિક્કિમના કલાકારોએ રણચંડી, તમંગ સેલો અને ઘંટુ જેવા પરંપરાગત નૃત્યો રજૂ કર્યા હતા. સિક્કિમના કલાકારો સાથે ગુજરાતના કલાકારોએ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ થીમ પર નૃત્ય રજૂ કર્યું હતું.