વડોદરા.
વડોદરાના ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર ગજેન્દ્ર જૈન મિત્રો સાથે વિયેતનામ ગયા હતા. જ્યાં તેમને અચાનક બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. જ્યાંથી ગુજરાત પોલીસે દર્દીનો જીવ બચાવવા અને ઝડપી સારવાર માટે ગ્રીન કોરીડોર બનાવીને વડોદરાના અકોટા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો છે.
આ અંગે ગજેન્દ્ર જૈનના કૌટુંબિક મિત્ર મહેશ શાહે જણાવ્યું હતું કે ગજેન્દ્ર તેના મિત્રો સાથે વિયેતનામ ગયો હતો, જ્યાં તેને અચાનક બ્રેઈન સ્ટોક આવી ગયો. તેથી વિયેતનામમાં જ પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગજેન્દ્રને ભારત લાવવાનો નિર્ણય લેવાયો હતો.
વડોદરાની વિન્સ હોસ્પિટલમાં મગજની સારવાર સારી રીતે ચાલી રહી હોવાથી ગજેન્દ્રને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો છે. આ માટે પોલીસ વિભાગે અમને ઘણો સહકાર આપ્યો છે.
બીજી તરફ એમ્બ્યુલન્સના ડ્રાઈવર મુલજીભાઈ પારગીએ જણાવ્યું હતું કે વિયેતનામથી અમદાવાદ એરપોર્ટ પહોંચેલા દર્દીને એર એમ્બ્યુલન્સમાંથી અમારી એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ તેમને અમદાવાદથી એમ્બ્યુલન્સમાં વડોદરા લાવવામાં આવ્યા હતા. આ માટે અમદાવાદથી 10 થી 12 પોલીસ વાહનો ગ્રીન કોરીડોરમાં એમ્બ્યુલન્સ સાથે જોડાયા હતા, ત્યારબાદ અમે વડોદરા હોસ્પિટલ પહોંચ્યા હતા.