સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પોતાનો ફોટો ગિફ્ટ કર્યો છે. વીડિયોમાં એક સ્મૃતિચિહ્ન દેખાડવામાં આવી રહ્યું છે જેના પર પીએમ મોદીનો ફોટો છે. આ વીડિયોને શેર કરતી વખતે લોકો તેને ભારત અને ચીનના નેતાઓ વચ્ચેની બેઠક સાથે જોડી રહ્યા છે. પરંતુ શું પીએમ મોદીએ ખરેખર આ તસવીર શી જિનપિંગને ભેટ આપી હતી? ચાલો આ દાવાની હકીકત તપાસીએ.
પીઆઈબી ફેક્ટ ચેક અનુસાર, વીડિયોમાં દેખાતો સિરામિક સ્મૃતિચિહ્ન પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને આપ્યો ન હતો. વાસ્તવમાં, આ સ્મૃતિચિહ્ન શી જિનપિંગે પોતે વડાપ્રધાન મોદીને અર્પણ કર્યું હતું. 12 ઓક્ટોબર 2019ના રોજ તમિલનાડુના મામલ્લાપુરમમાં બંને નેતાઓની મુલાકાત દરમિયાન આ ભેટ આપવામાં આવી હતી. તે સમયે પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે અનૌપચારિક બેઠક થઈ હતી. બંને નેતાઓએ ભારત અને ચીન વચ્ચેના સંબંધોને લગતા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનને આ વિશેષ સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું હતું.
હકીકત તપાસમાં શું બહાર આવ્યું?
ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે સ્મૃતિચિહ્ન પર પીએમ મોદીની તસવીર હતી. આ ફોટો જોઈને સોશિયલ મીડિયા પર ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે મોદીએ આ ફોટો શી જિનપિંગને ગિફ્ટ કર્યો હતો. આ દાવાને ફગાવી દેતા PIBએ કહ્યું કે વાયરલ વીડિયોમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. ફેક્ટ ચેક યુનિટે આના સમર્થનમાં પીએમ મોદી અને શી જિનપિંગની મમલ્લાપુરમ બેઠક સંબંધિત સત્તાવાર માહિતી પણ શેર કરી છે. ચીની એમ્બેસી તરફથી જારી કરાયેલા દસ્તાવેજમાં આ મીટિંગ અને સ્મૃતિ ચિન્હ સંબંધિત માહિતી પણ ઉપલબ્ધ છે.

