ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે અમુધા રોડ તરફ જતા રોડ પર ગટરના ગંદા પાણીના નિકાલ અંગે સ્થાનિક રહીશોએ ટુંડાવ ગ્રામ પંચાયત કચેરી ખાતે વહીવટી અધિકારી અને તલાટીને લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે કે ટુંડાવ ગામમાં જૂની રાવળ વાસીની સામે સાધી માતા મંદિરથી અમુધા રોડ તરફ જતા રોડ પર છેલ્લા છ માસથી ગટરના ગંદા પાણીનો જમાવડો થયો છે. ગટરના પાણીના યોગ્ય નિકાલ માટે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પ્રતિસાદ મળતો નથી. આ બાબતનો સત્વરે અને યોગ્ય નિકાલ ન થવાના કારણે આ વિસ્તારના તમામ રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે રોગચાળો ફેલાવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી આપણું સ્વાસ્થ્ય જોખમમાં છે. આ અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.