અકસ્માત દરમિયાન રિક્ષા ચાલક રોડ પર પડી ગયો હતો
ખંભાતના કંસારી ગામે પૂરપાટ ઝડપે જઈ રહેલા રિક્ષા ચાલકની બેદરકારીના કારણે રિક્ષા ડિવાઈડરની વિરુદ્ધ દિશામાં કૂદી પડી હતી. જ્યાં કાર સાથે અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં રિક્ષાચાલકનું મોત થયું હતું. આ અંગે ખંભાત પોલીસે ગુનો નોંધ્યો છે.
બોરસદના દહેવાણ ગામે રહેતા ઉપેન્દ્રસિંહ મોહનસિંહ પરમાર કાર ચલાવે છે. ઉપેન્દ્રસિંહ તેના મિત્ર સંજય અરવિંદ પરમાર સાથે સવારે સાત વાગ્યાના સુમારે ખંભાત ખાતે ખરીદી માટે કારમાં ઘરેથી નીકળ્યા હતા. તેઓ કંસારી ગામમાં ઓએનજીસી પાસે પહોંચ્યા ત્યાં સુધીમાં રિક્ષા તેજ ગતિએ ગઈ હતી અને અચાનક ડિવાઈડર કૂદીને ઉપેન્દ્રસિંહની કાર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં રિક્ષા ચાલક રોડ પર પટકાયો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત રિક્ષાચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
ખંભાત પોલીસે તપાસ કરતાં અકસ્માત સર્જનાર રિક્ષા ચાલક મહેશ ભાઈલાલ પરમાર (રહે. ટીંબા કોઠીયાપુરા, ખંભાત) હોવાનું જાણવા મળ્યું હતું. મહેશ બેદરકારીપૂર્વક રિક્ષા ચલાવતો હતો અને તે ડિવાઈડર કૂદીને ઉપેન્દ્ર સિંહની કાર સાથે અથડાઈ હતી. મહેશ રોડ પર રિક્ષામાંથી પડી જતાં તેનું મોત થયું હતું. આ અંગે ખંભાત પોલીસે મહેશ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.