(GNS),તા.26
લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે અને સ્વચ્છતા અને ગ્રીન અર્થને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુ સાથે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરના ઇન્દ્રોડા ગામે વસતી ગણતરી નિયંત્રક કચેરી દ્વારા આજે સવારે એક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વચ્છ ભારત મિશન 3.0 અંગે જાગૃતિ અભિયાનના ભાગરૂપે વસ્તી ગણતરી નિયંત્રક શ્રીમતી આર્દ્રા અગ્રવાલ દ્વારા ગાંધીનગરના ઈન્દ્રોડા ખાતેથી રેલીને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ રેલીમાં સ્વચ્છ પર્યાવરણનું મહત્વ દર્શાવતા બેનરો અને ક્લીન એન્ડ ગ્રીન ઈન્ડિયાના નારા દર્શાવતા પ્લેકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ રેલીમાં વસ્તી ગણતરી નિયંત્રક કચેરી અને ગાંધીનગર મહાનગરપાલિકાના અંદાજે 75 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ રેલીમાં ઈન્દ્રોડા ગામના કોર્પોરેટર શ્રીમતી દક્ષાબેન મકવાણા અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.