ગુજરાતમાં એક સમાચારે ભારે ચર્ચા શરૂ કરી છે. કેટલાક સમાચાર માધ્યમોમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડાને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 41,000 મહિલાઓ ગુમ થઈ છે. આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદથી ભારે હોબાળો મચી ગયો છે. આ મુદ્દે વિરોધ પક્ષો ભાજપ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. ભાજપ સરકાર સામે કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. જો કે હવે ગુજરાત પોલીસે આ મામલે મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે આ માહિતી અધૂરી અને ગેરમાર્ગે દોરનારી છે.
ગુજરાત પોલીસે ટ્વિટ કર્યું છે કે, ‘હાલમાં, કેટલાક સમાચાર માધ્યમોએ નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના આંકડાને ટાંકીને સમાચાર પ્રકાશિત કર્યા છે કે ‘છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી 41 હજાર મહિલાઓ ગુમ થઈ છે’. આ માહિતી અધૂરી અને ભ્રામક છે. વર્ષ 2016-2020માં ગુજરાતમાંથી 41,621 મહિલાઓ ગુમ થઈ હતી.
ગુજરાત પોલીસે અન્ય એક ટ્વિટમાં લખ્યું, ‘પરંતુ આમાંથી 39,497 મહિલાઓ (94.90%) પરત આવી છે અને તેમના પરિવાર સાથે છે. આ બંને આંકડા NCRB દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેને NCRBના પોર્ટલ પરથી પણ ચેક કરી શકાય છે. આમ કેટલાક મીડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચાર અધૂરા અને ભ્રામક છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળના નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) એ ગુજરાતમાંથી ગુમ થયેલી મહિલાઓના આંકડા જાહેર કર્યા છે. જે મુજબ રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 41 હજારથી વધુ મહિલાઓ ગુમ થઈ છે. NCRBના ડેટા અનુસાર, 2016માં 7,105, 2017માં 7,712, 2018માં 9,246 અને 2019માં 9,268 મહિલાઓ ગુમ થઈ હતી. 2020માં 8290 મહિલાઓ ગુમ થઈ હોવાનું નોંધાયું છે. પાંચ વર્ષમાં કુલ 41,621 મહિલાઓ ગુમ થઈ છે.
એક અહેવાલ મુજબ, પૂર્વ IPS અધિકારી અને ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના સભ્ય સુધીર સિંહાએ જણાવ્યું હતું કે, “કેટલાક કિસ્સાઓમાં, મેં ગુમ થયેલી છોકરીઓ અને મહિલાઓને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતી અને વેશ્યાવૃત્તિ માટે ફરજ પાડવામાં આવતી જોઈ છે. પોલીસ તંત્રની સમસ્યા એ છે કે તે ગુમ થવાના કેસોને ગંભીરતાથી લેતું નથી. ડો. રાજન પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, “મારા કાર્યકાળ દરમિયાન એવો મારો અનુભવ રહ્યો છે કે મોટાભાગની ગુમ થયેલી મહિલાઓને માનવ તસ્કરી સાથે સંકળાયેલી ટોળકી દ્વારા ઝડપી લેવામાં આવે છે, જેઓ તેમને અન્ય રાજ્યોમાં લઈ જાય છે અને વેચે છે.” ગુમ થયેલી મહિલાઓને વેશ્યાવૃત્તિ માટે મજબૂર કરવામાં આવે છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા જાહેર કર્યા બાદ કાયદો અને વ્યવસ્થાને લઈને ભાજપ સરકાર પર સવાલો ઉભા થયા છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ટ્વીટ કર્યું. તેમણે લખ્યું કે, ‘ગુજરાતના ગૌરવની વાતો કરતી ભાજપ સરકાર જવાબ આપે કે આટલી મોટી સંખ્યામાં મહિલાઓ ક્યાં ગાયબ થઈ ગઈ? શું આ છે ભાજપ સરકારનું મહિલા સશક્તિકરણ? ગુજરાતમાં 5 વર્ષમાં 40,000 થી વધુ મહિલાઓ ગુમ થઈ, NCRB ડેટા બતાવે છે: ભાજપ કેમ ચૂપ છે?’