નવી દિલ્હી, દેશભરમાં ભારે વિરોધ છતાં કેન્દ્રની મોદી સરકારે 2022માં વિવાદાસ્પદ અગ્નિવીર યોજના લાગુ કરી હતી. જો કે ચૂંટણી પહેલા સરકાર હવે બેકફૂટ પર છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે કે સરકાર અગ્નવીર યોજનામાં ફેરફાર માટે તૈયાર છે.
એક ટીવી ચેનલ સાથે વાત કરતા રાજનાથ સિંહે કહ્યું કે સેનાને યુવાનોની જરૂર છે. મને લાગે છે કે યુવાની ઉત્સાહથી ભરેલી છે. તેઓ ટેક-લવર્સ છે. તેમનું ભવિષ્ય પણ સુરક્ષિત રહે તેની અમે યોગ્ય કાળજી લીધી છે. જો જરૂર પડશે તો અમે ફેરફારો પણ કરીશું.
તમને જણાવી દઈએ કે અગ્નવીર યોજના લાગુ થતા જ વિવાદમાં આવી ગઈ હતી. વિપક્ષે આ યોજનામાં માત્ર 4 વર્ષની સેવાને યુવાનો સાથે વિશ્વાસઘાત ગણાવ્યો હતો. કોંગ્રેસે પોતાના ચૂંટણી પ્રચારમાં અગ્નિવીર યોજનાને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. આ યોજનાને લઈને રાહુલ ગાંધી સતત કેન્દ્રને ઘેરી રહ્યા છે. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ગ્વાલિયરમાં અગ્નિવીર ભરતી સાથે જોડાયેલા યુવાનો અને ભૂતપૂર્વ સૈનિકોને પણ મળ્યા હતા.
કોંગ્રેસે પણ સરકાર સત્તામાં આવશે તો આ યોજના રદ કરવાની જાહેરાત કરી છે. જો કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજનાથ સિંહના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. ખડગેએ ટ્વીટ કર્યું, ‘દેશના સંરક્ષણ પ્રધાને કહ્યું છે કે તેઓ અગ્નિવીર યોજનામાં સુધારા અને ફેરફારો કરવા માટે તૈયાર છે. આ દર્શાવે છે કે મોદી સરકાર દ્વારા લાખો દેશભક્ત યુવાનો પર લાદવામાં આવેલી અગ્નિવીર યોજના હવે કામ કરતી નથી.
ખડગેએ આગળ લખ્યું, ‘પહેલા મોદી સરકારે આપણા લાખો યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી, હવે ચૂંટણીના કારણે તેણે અગ્નિવીર યોજનામાં રહેલી ખામીઓને સ્વીકારવાની વાત કરી છે. તેણે પહેલા આપણા દેશભક્ત યુવાનોની માફી માંગવી જોઈએ. કોંગ્રેસે વચન આપ્યું છે કે અમારી સરકાર અગ્નિવીર યોજના બંધ કરશે.