બાંગ્લાદેશમાં જેલમાં બંધ હિન્દુ અધિકાર કાર્યકર્તા ચિન્મય કૃષ્ણ દાસને ગુરુવારે તેની માતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે પાંચ કલાકની પેરોલ આપવામાં આવી હતી. સ્થાનિક મીડિયાએ આ માહિતી આપી છે. હિન્દુ સંત દાસની નવેમ્બર 2024 માં રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ હતો, જેના કારણે વિરોધ અને સાંપ્રદાયિક તણાવ થયો હતો.
ધ ડેઈલી સ્ટાર અખબારે અહેવાલ આપ્યો છે કે, દાસના પરિવારની અરજીને પગલે ચટગાંવ જિલ્લાના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ ઝાહિદુલ ઈસ્લામે ગુરુવારે બપોરે હિન્દુ સંતને પેરોલ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સંતની 70 વર્ષીય માતા સંધ્યા રાણી ધર હાથઝારીની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને ગુરુવારે સવારે તેમનું અવસાન થયું હતું.
અખબારે જાહિદુલ ઈસ્લામના હવાલાથી જણાવ્યું હતું કે, “માતાના મૃત્યુ પછી દાસના ભાઈ દ્વારા આપવામાં આવેલી અરજીના આધારે, અમે કાયદા મુજબ ચિન્મય કૃષ્ણને પાંચ કલાક માટે પેરોલ પર જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.”
કોણ છે ચિન્મય કૃષ્ણ દાસ?
ચિન્મય કૃષ્ણ દાસનું મૂળ નામ ચંદન કુમાર ધર છે. તે બાંગ્લાદેશના એક હિન્દુ સંત છે જે સનાતન જાગરણ મંચના ધાર્મિક ઉપદેશક અને પ્રવક્તા છે. તેઓ ચટગાંવના પુંડરીક ધામ અને ઈસ્કોન સાથે સંકળાયેલા છે. તેઓ બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ માટે અધિકારો અને રક્ષણની માગણી કરીને પ્રસિદ્ધિમાં આવ્યા હતા. નવેમ્બર 2024માં રાજદ્રોહના આરોપમાં ઢાકા એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર એક રેલી દરમિયાન બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ હતો.
તેની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં હિંદુ સમુદાયના લોકો દ્વારા મોટા પાયે વિરોધ કરવામાં આવ્યો હતો. ભારત સરકારે પણ આ બાબતે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી.

