ગાંધીનગરઃ મહેસાણા બેઠકના ઉમેદવારની જાહેરાત પહેલા જ નીતિન પટેલે મોટી જાહેરાત કરી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. તેમણે પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ પોતાનો રસ દર્શાવ્યો હતો. પરંતુ શનિવારે પાર્ટીએ રાજ્યની 15 બેઠકો પર નામ જાહેર કર્યા બાદ તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.
નીતિન પટેલે જણાવ્યું હતું કે, ‘કેટલાક કારણોસર મેં મહેસાણા લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. રાજ્યની 15 લોકસભા બેઠકો માટેના ઉમેદવારોની ગઈકાલે જાહેરાત કરવામાં આવી છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હજુ ચાલી રહી છે. તે પહેલા હું ભાજપના ઉમેદવાર તરીકેની મારી ઉમેદવારી પાછી ખેંચી લઉં છું. અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બને અને સમગ્ર વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધે અને ભારત માતાને પરમ ગૌરવ પ્રાપ્ત કરે. સર્વે કાર્યકરો, સર્વે શુભેચ્છકો અને તમામ સહયોગીઓનો હું ખૂબ ખૂબ આભારી છું.
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક પરથી ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. આવી સ્થિતિમાં હવે નીતિન પટેલે લોકસભા ચૂંટણી 2024માં ઉમેદવારી પાછી ખેંચી લેતા રાજકીય વિશ્લેષકો હવે નવા સમીકરણો બનાવવામાં વ્યસ્ત બન્યા છે. જો નીતિનભાઈ ચૂંટણી નહીં લડે તો મહેસાણામાંથી ભાજપ કોને મેદાનમાં ઉતારશે તેની ભારે ચર્ચા ચાલી રહી છે. તેમજ રાજકોટ અને પોરબંદર બેઠકો પર ઉમેદવારોની જાહેરાત બાદ રૂપાણી ચૂંટણી લડશે તેવી ચર્ચાનો અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભાજપે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે.
કઇ બેઠક પરથી ક્યા સાંસદની ટિકિટ કપાઇ, કોણ છે નવા ઉમેદવાર?
પોરબંદર- (વર્તમાન સાંસદ) રમેશ ધડુક, (નવા ઉમેદવાર) મનસુખ માંડવિયા
રાજકોટ- (વર્તમાન સાંસદ) મોહન કુંડારિયા, (નવા ઉમેદવાર) પુરુષોત્તમ રૂપાલા.
અમદાવાદ (પશ્ચિમ) – (વર્તમાન સાંસદ) કિરીટ સોલંકી, (નવા ઉમેદવાર) દિનેશ મકવાણા
બનાસકાંઠા- (વર્તમાન સાંસદ) પરબત પટેલ, (નવા ઉમેદવાર) ડો. રેખાબેન ચૌધરી
પંચમહાલ- (વર્તમાન સાંસદ) રતનસિંહ રાઠોડ, (નવા ઉમેદવાર) રાજપાલસિંહ જાદવ